જુદા જુદા ત્રણ ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક-એક વર્ષની જેલ
સરધારમાં રહેતા આરોપીએ મિત્રતાના દાવે લીધેલા રૂૂ.14 લાખની ચુકવણી માટે આપેલા ત્રણેય ચેક પરત ફરવાના ગુનામાં અદાલતે આરોપીને એક એક વર્ષની કેદ અને રૂૂ.14 લાખના બદલે રૂૂ.21 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે આ કેસની હકીકત મુજબ સરધારમાં રહેતા મયુરસિંહ ચંદ્રસિંહ જાડેજાએ મિત્રતાના દાવે મહિપાલસિંહ હેમંતસિંહ જાડેજા પાસેથી રૂૂ.14 લાખ હાથ ઉછીના લીધા હતા.
જે રૂૂપિયાની ચુકવણી માટે મયુરસિંહ જાડેજા જુદા જુદા ત્રણ ચેક આપ્યા હતા. જે ત્રણેય ચેક વગર વસૂલાતે પરત ફરતા ફરિયાદી મહિપાલસિંહ જાડેજાએ નોટીસ પાઠવી હતી જે નોટીસ બજી જવા છતાં રૂૂપિયાની ચુકવણી નહીં કરતા મહિપાલસિંહ જાડેજાએ મિત્ર મયુરસિંહ જાડેજા વિરુદ્ધ અદાલતમાં ચેક પરત ફર્યાની ફરિયાદ દાખલ કરી હતી.
જે કેસ પડધરી કોર્ટમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની રજૂઆત બાદ ફરિયાદી વતી રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈ અદાલતે આરોપી મયુરસિંહ ચંદ્રસિંહ જાડેજાને જુદા જુદા ત્રણ ચેક રીટર્ન કેસમાં તકસીરવાન ઠેરવી એક એક વર્ષની કેદ અને રૂૂ.14 લાખના બદલે રૂૂ.21 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
આ કેસમાં ફરિયાદી તરફે રાજકોટના યુવા એડવોકેટ કુલદીપસિંહ બી. જાડેજા, જ્યોત્સનાબા પી. જાડેજા, શિવરાજસિંહ ઝાલા, રવિરાજસિંહ પરમાર, હેતલ ભટ્ટ, રિંકલ પરમાર અને ભૂમિલ સોલંકી રોકાયા હતા.