પ્લેન ક્રેશનાં અસરગ્રસ્તોનાં સંબંધીઓ માટે રહેઠાણ અને વાહન વ્યવહારની સુવિધા ગોઠવાઇ
માર્ગ અને મકાન વિભાગ દ્વારા માનવતાવાદી પહેલ
અમદાવાદમાં તાજેતરમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ પ્લેન ક્રેશની દુ:ખદ ઘટનાને પગલે સર્જાયેલી કપરી પરિસ્થિતિમાં, ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગે માનવતાવાદી અભિગમ દાખવીને એક પ્રશંસનીય પહેલ કરી છે. આ દુર્ઘટનામાં ભોગ બનેલા યાત્રીઓના સગાં-સંબંધીઓ કે જેઓ આ મુશ્કેલ સમયમાં અમદાવાદ આવ્યા છે, તેમના માટે રહેઠાણ અને વાહનવ્યવહારની સુવિધા પૂરી પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા અસરગ્રસ્તોના પરિવારજનોને અમદાવાદ ખાતેના સર્કિટ હાઉસ તેમજ અન્ય નિર્ધારિત સ્થળોએ રોકાણની સગવડ આપવામાં આવશે. આ ઉપરાંત, સિવિલ હોસ્પિટલથી ઉક્ત રોકાણ સ્થળોએ પહોંચવા માટે વાહન-વ્યવહારની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી સગાં-સંબંધીઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે.
જે યાત્રીઓના પરિવારજનો અથવા સંબંધીઓ આ દુર્ઘટનાના સંબંધમાં અમદાવાદ આવ્યા હોય અને તેમને રહેઠાણની અથવા વાહન-વ્યવહારની આવશ્યકતા હોય, તેઓ આ સુવિધાઓનો લાભ લઈ શકશે.
વધુ માહિતી અથવા રૂૂમ તથા વાહન-વ્યવહારની વ્યવસ્થા માટે, માર્ગ અને મકાન વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા નીચે મુજબના સંબંધિત સત્તાધિકારીઓનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે:
કંટ્રોલ રૂૂમ ફોન નં. :079-23251900
કંટ્રોલ રૂૂમ મોબાઇલ નં. : 9978405304
કૃણાલભાઇ પટેલ(માર્ગ અને મકાન વિભાગ) : 9429610137
રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી દુર્ઘટનાના ભોગ બનેલા પરિવારોને આ કપરા સમયમાં થોડી રાહત અને સહાયતા મળી રહેશે.