ગુરુવારથી તાલુકા મામલતદાર કચેરીમાં આધાર કાર્ડ કેન્દ્ર શરૂ
રાજકોટ શહેર જિલ્લામાં લોકોને આધાર કાર્ડ કઢાવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે. ત્યારે તેમાંથી લોકોને રાહત મળે તે માટે આગામી ગુરૂવારથી જુની કલેક્ટર તાલુકા મામલતદાર કચેરી ખાતે આધારકાર્ડ શરૂ કરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું છે.
રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષી દ્વારા કલેક્ટર કચેરીમાં આવકના દાખલા, રાશન કાર્ડ કઢાવવા આવતા શહેરીજનોને એક જ સ્થળેથી આધાર કાર્ડની પણ સુવિધા મળી રહે તે માટે જૂની કલેક્ટર કચેરી અને જન સેવા કેદન્દ્ર ખાતે આધાર કાર્ડ કેન્દ્ર શરૂ કરાવવા મુંબઈ ખાતે આવેલી આધાર કાર્ડ કેન્દ્રની વડી કચેરીને જાણ કરી હતી.
મુંબઈ ખાતે આવેલ આધાર કાર્ડ કેન્દ્રની વડી કચેરી દ્વારા રાજકોટની જુની કલેક્ટર કચેરી ખાતે સૌ પ્રથમ નવા આધાર કાર્ડ કેન્દ્ર માટેની આઈ.ડી.ને મંજુરી આપી જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવી હતી.
ત્યાર બાદ સ્ટાફની ફાળવણી અને તેના આઈ.ડી. અને કોડ નંબરની ફાળવણી કરવામાં આવી હતી. જે તમામ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. ત્યારે આગામી ગુરૂવારે તા. 8-2-24ના રોજ જૂની કલેક્ટર કચેરી મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડ કેન્દ્ર શરૂ કરી દેવામાં આવશે. તેમ જાણવા મળેલ છે.
જૂની કલેક્ટર કચેરીમાં આધાર કાર્ડ કેન્દ્ર શરૂ થતાં લોકોને હવે એક જ સ્થળેથી આધાર કાર્ડ, રાશન કાર્ડ, આવકના દાખલા સહિતની સુવિધા મળી રહેશે જ્યારે ટુંક સમયમા નવી કલેક્ટર કચેરી જનસેવા કેન્દ્ર ખાતે પણ ટુંક સમયમાં આઈ.ડી.ની ફાળવણી બાદ આધાર કાર્ડ કેન્દ્ર શરૂ કરવામાં આવશે.