પત્ની સાથે ઝઘડો થતા ઘરેથી નીકળી ગયેલા યુવકનો ઝાડમાં લટકી આપઘાત
શહેરમાં કાલાવડ રોડ ઉપર આવેલા લક્ષ્મીના ઢોળે મોદીનગરમાં દંપતિ વચ્ચે ઝઘડો થતા યુવાન ઘરેથી નીકળી ગયો હતો બાદમાં બીજા દિવસે ઘર નજીક આવેલા વોકળાના સામા કાંઠે ઝાડમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં યુવકનો લટકતો મૃતદેહ મળી આવતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી માહિતી મુજબ કાલાવડ રોડ ઉપર આવેલા લક્ષ્મીના ઢોળે મોદીનગરમાં રહેતા અને કોસ્મોપ્લેક્સ સિનેમાની કેન્ટીનમાં કામ કરતા અશોકભાઈ ચંદ્રપ્રસાદ જોષી નામના 34 વર્ષના યુવાનનો ઘર પાછળ વોકળા નજીક ઝાડમાં પ્લાસ્ટિકની દોરીથી ફાંસો ખાધેલી હાલતમાં લટકતો મૃતદેહ મળી આવતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ ઘટના અંગે જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવાનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન મૂળ ઉતરાખંડનો વતની હતો. અને તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. ગત રવિવારે પત્ની સાથે ઝઘડો થયા બાદ ઘરેથી નીકળી ગયો હતો. બાદમાં ઘર નજીકથી જ ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં આજીડેમ ચોકડી પાસે આવેલી દેવકીનંદન સોસાયટીમાં રહેતી સૃષ્ટિબેન આકાશભાઈ સીંગ નામની 20 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે સાંજના સાતેક વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કરણસર બીમારીની વધુ પડતી ગોળીઓ ખાઈ લીધી હતી. પરિણીતાની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.