તાલાલાના જાંબુર ગામે મંગેતરને મળવા ગયેલા યુવકનું મિત્રના ઘરે બેભાન હાલતમાં મોત
દારૂ પીધા બાદ મોત નિપજ્યાનું મિત્રનું કથન; પરિવારે મોત અંગે શંકા વ્યકત કરતાં ફોેરેન્સિક પોસ્ટ મોર્ટમ
તાલાલાના થોરડી ગામે રહેતો અને શાપરમાં મજુરી કામ કરતો યુવાન મોર્હમના તહેવારમાં ઘરે ગયો હતો ત્યારે જાંબુર ગામે મંગેરતને મળવા ગયા બાદ મિત્રના ઘરે રોકાયો હતો. જ્યાં યુવકનું બેભાન હાલતમાં મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. યુવકનું દારૂ પીધા બાદ બેભાન હાલતમાં મોત નિપજ્યું હોવાનું મિત્રએ બયાન આપ્યું હતું. જ્યારે પરિવારજનોએ યુવકના મોત અંગે શંકા વ્યકત કરતાં મૃતદેહને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, તાલાલાના થોરડી ગામે રહેતો અલ્તાફ ઈકબાલભાઈ ભાલીયા નામનો 22 વર્ષનો યુવાન ચાર દિવસ પૂર્વે તાલાલાના જાંબુર ગામે હતો ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતાં તાત્કાલીક સારવાર માટે તાલાલા અને વેરાવળ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં માતમ છવાયો હતો.
પ્રાથમિક પુછપરછમાં અલ્તાફ ભાલીયા બે ભાઈ ત્રણ બહેનમાં નાનો હતો અને શાપરમાં કારખાનામાં કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. મોર્હમના તહેવારમાં ઘરે ગયો હતો ત્યારે જાંબુર ગામે મંગેતરને મળવા માટે ગયો હતો. જ્યાં મિત્રના ઘરે રોકાયો હતો. તે દરમિયાન બેભાન થઈ ગયા બાદ મોત નિપજ્યું હતું. અલ્તાફ ભાલીયાએ દારૂ પીધા બાદ મોત નિપજ્યું હોવાનું મિત્રએ જણાવ્યું હતું. જ્યારે પરિવારે યુવકના મોત અંગે શંકા વ્યકત કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.