જેતપુરના લુણાગરામાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
શાપર-વેરાવળમાં સગીરે ઝેરી પદાર્થ ખાઈ લેતા તબિયત લથડી
જેતપુરના લુણાગરા ગામે રહેતો અને અમદાવાદ ખાતે નોકરી કરતો યુવાન લુણાગરા ગામે આટો મારવા આવ્યા બાદ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જેતપુર તાલુકાના લુણાગરા ગામે રહેતા ધવલ મંગાભાઈ ચૌહાણ નામના 21 વર્ષના યુવાને આઠ દિવસ પૂર્વે લુણાદરા ગામે નદી કાંઠે ઝેરી દવા પી લીધી હતી. યુવકનું રાજકોટ સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન બે ભાઈ બે બહેનમાં નાનો અને અપરિણીત હતો. ધવલ ચૌહાણ અમદાવાદ પ્રાઇવેટ નોકરી કરતો હતો અને ઘરે આટો મારવા આવ્યા બાદ આત્મઘાતી પગલું કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં શાપર વેરાવળમાં કંપનીમાં કામ કરતી પૂજાસિંહ અરવિંદસિંહ રાજપૂત નામની 15 વર્ષની સગીરાએ કોઈ અગમ્ય કારણસર ઝેરી પદાર્થ ખાઈ લીધો હતો. સગીરાને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.