દીકરીની સગાઇ મામલે પત્ની સાથે ઝઘડો થતા યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત
કુવાડવા જીઆઇડીસીનો બનાવ, મુળ મહેસાણાનું દંપતી રાજકોટ રહેતું હતું: પરિવારમાં શોક
મૂળ મહેસાણાના વતની અને 12 વર્ષથી કુવાડવા જીઆઈડીસીમાં કામ કરતા યુવાને ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં શોક છવાઈ ગયો હતો.પત્ની સાથે દીકરીની સગાઈ બાબતે થતાં અવારનવાર ઝઘડાથી કંટાળી પગલું ભરી લીધાનું પ્રાથમિક તારણ સામે આવતાં કુવાડવા રોડ પોલીસે વધું તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ, કુવાડવા જીઆઇડીસીમાં એસાર હાઈપર માર્ટની સામે રહેતાં સિદ્ધરાજસિંહ વાધુભા ઝાલા (ઉ.વ.40) એ ગઈકાલે પોતાના ઘરે પંખાના હુકમાં દોરડા વડે ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.તેમના પરિચીત ઘરે આવતાં યુવાનને ફાંસો ખાધેલી લટકેલી હાલતમાં જોતાં તુરંત 108 ને જાણ કરતાં દોડી આવી હતી અને 108 ની ટીમે યુવાનને તપાસી મૃત જાહેર કર્યો હતો.બનાવ અંગે જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકના એએસઆઈ એમ.એમ.અજાગીયા સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડી વધું તપાસ હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું કે,મૃતક સિદ્ધરાજસિંહ મૂળ મહેસાણાના રૂૂપપરા ગામના વતની છે અને તેમને સંતાનમાં એક પુત્રી-પુત્ર છે. તેઓ પત્ની સાથે છેલ્લા 12 વર્ષથી કુવાડવા જીઆઇડીસીમાં રહી મજૂરીકામ કરતાં હતાં.તેમના સંતાન બનાસકાંઠાના આંકોલી ગામે રહેતાં સસરાના ઘરે અભ્યાસ કરે છે.બંન્ને પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી દીકરીની સગાઈ બાબતે ગૃહકલેસ ચાલતો હતો.
દરમિયાન બે દિવસ પહેલાં જ મૃતકના પત્ની આંકોલી ગામ માવતરે ગયાં હતાં અને ગઈકાલે બંને વચ્ચે ફોનમાં દિકરીની સગાઈ બાબતે ફરી ઝઘડો થતાં તેનું માઠું લાગી આવતાં પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.આ બનાવ અંગે મૃતકના પત્ની અને પરિવારજનોને જાણ કરતાં તેઓ દોડી આવ્યાં હતાં.આ મામલે પોલીસે વધું તપાસ યથાવત રાખી છે.