બંધ કારખાનામાંથી ચોરી કરી પિત્તળનો ભંગાર વેચવા નીકળેલો શખ્સ ઝડપાયો
લોહાનગરના શખ્સની પૂછપરછમાં મહુવાના સાગરીતનું નામ ખુલ્યું: 35 હજારનો મુદ્દામાલ જપ્ત
શહેરના આજીડેમ વિસ્તારના મીરા ઉદ્યોગમાં બંધ કારખાનામાં ખાબકી તસ્કરો 52 હજારનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા જો કે, પોલીસે ગણતરીની કલાકોમાં તસ્કરને ઝડપી લીધો હતો.તેની પુછપરછમાં મહુવાનું નામ ખુલતા તેની શોધખોળ શરૂૂ કરી છે.
કોઠારિયા ગામમાં રાધેશ્યામ હાઇટ્સમાં રહેતા અને આજી વસાહત પાસે મીરા ઉદ્યોગમાં ખોડિયાર મેટલ નામે કારખાનું ચલાવતા રાજેશભાઇ ગંગદાસભાઇ સોરઠિયાએ ફરિયાદ કરી હતી.તેઓએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, કારખાનાનો અંદરનો દરવાજો તોડી કારખાનામાં ઘુસેલા તસ્કરોએ 52500નો પિત્તળનો ભંગાર ચોરી ગયા હતા.ચોરીનો ગુનો નોંધાતા જ પોલીસ હરકતમાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમના પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઈ સાકરીયા,એએસઆઈ રણજિતસિંહ પઢારિયા,અશોકભાઈ કલાક અને મયુરભાઈ મિયાત્રા સહિતના સ્ટાફે બાતમીને આધારે લોહાનગરના બૈજુ ધરમસી પટેલીયાને ઝડપી લઇ 35500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
બૈજુ અગાઉ રાજકોટ શહેરમાં સાત ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.આ ચોરીમાં મહુવાના વિક્રમ બાબુ વાળાનું નામ ખુલતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી.બૈજુ ચોરાઉ માલ વેચવા નીકડવાની તૈયારી કરતો હતો ત્યારે ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી હતી.