નિષ્ઠુર જનેતાએ તરછોડેલી નવજાત બાળકીએ સારવારમાં દમ તોડ્યો
સાયલાના ચીલબાગ ગામની સીમમાંથી બે દિવસ પૂર્વે એક દી’ની બાળકી મળી આવી’તી
સાયલા તાલુકાના ચિલબાગ ગામની સીમમાંથી નવજાત બાળકીને નિષ્ઠુર જનેતાએ તરછોડી દીધી હતી ત્યજી દેવાયેલી બાળકીને તાત્કાલિક સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.બાળકીનું સારવારમાં મોત નીપજ્યું છે અને પોલીસે માસુમ બાળકીને તરછોડી દેનાર નિષ્ઠુર જનેતાની શોધખોળ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સાયલા તાલુકાના ચીલબાગ ગામની સીમમાં એક દિવસની નવજાત બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં પડી હોવાની જાણ થતા ગામલોકો એકઠા થઇ ગયા હતા અને આ અંગે સાયલા પોલીસને જાણ કરતા સાયલા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસે ત્યજી દેવાલી બાળકીને તાત્કાલિક સારવાર માટે સાયલા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. નિષ્ઠુર જનેતાએ તરછોડેલી નવજાત બાળકીએ સારવારમાં દમ તોડતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે એક દિવસની નવજાત બાળકીને તરછોડી દેનાર નિષ્ઠુર જનેતાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.