હળવદના સૂપણી ગામે વાડીએ ગયેલા રાજકોટના આધેડનું હાર્ટએટેકથી મોત
હૃદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ એક માનવ જીંદગી ધબકારા ચુકી ગઈ છે. જેમાં રાજકોટમાં આવેલા રાજનગરમાં રહેતાં આધેડ હળવદ તાલુકાના સુપણી ગામે પોતાની વાડીએ હતાં ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં મોત નિપજ્યું હતું.
આધેડના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં મોરબી રોડ પર આવેલા રાજનગરમાં રહેતાં દલસુખભાઈ પરસોત્તમભાઈ કમાણી નામના 54 વર્ષના આધેડ ગઈકાલે સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં હળવદ તાલુકાના સુપણી ગામે પોતાની વાડીએ હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં બેભાન હાલતમાં ઢળી પડયા હતાં.
આધેડને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક દલસુખભાઈ કમાણી ચાર ભાઈ એક બહેનમાં વચેટ હતાં અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બનાવમાં અમરેલીમાં આવેલા જેશીંગપરા વિસ્તારમાં રહેતી ગૌરીબેન વિજયભાઈ રાઠોડ (ઉ.24)ને પ્રસુતિની પીડા ઉપડતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં પરિણીતાનું સીઝરીયન કરી મૃતક બાળકને જન્મ આપવામાં આવ્યો હતો. પ્રસુતી બાદ પરિણીતાની તબિયત લથડતાં તેણીનું પણ મોત નિપજ્યું હતું. પરિણીતાના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. મૃતક ગૌરીબેન રાઠોડને અગાઉ પણ પ્રસુતી દરમિયાન બાળકનું મોત નિપજ્યું હતું અને બીજી ડિલેવરી દરમિયાન બાળકની સાથે ગૌરીબેન રાઠોડનું પણ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.