વાંકાનેર આઠમ ભરવા જતું મોરબીનું આધેડ દંપતી ખંડિત, પત્નીનું કરૂણ મોત
ટ્રકે એક્ટિવાને અડફેટે લેતા સર્જાયેલો અકસ્માત
મોરબીના સામાકાંઠે રહેતું દંપતી વાંકાનેર માતાજીની આઠમ ભરવા એકટીવા લઈને જતું હતું જે એકટીવા સાથે ટ્રક ક્ધટેનર અથડાતા પતિને ઈજા પહોંચી હતી અને પત્ની પર ટ્રકનું પાછળનું વ્હીલ ફરી વળતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબીના રામકૃષ્ણનગરમાં રહેતા વિજયભાઈ ભુપેન્દ્રભાઈ ગોહેલ (ઉ.વ.38) વાળાએ ટ્રક ક્ધટેનર જીજે 39 ટી 0392 ના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પિતા ભુપેન્દ્રભાઈ રવજીભાઈ ગોહેલ અને માતા રંજનબેન બંને એકટીવા જીજે 36 પી 6486 લઈને વાંકાનેર માતાજીની આઠમ ભરવા (નૈવેધ) માટે જતા હતા. ત્યારે મોરબી વાંકાનેર હાઈવે પર મકનસર ગામ નજીક ટ્રક ક્ધટેનર ચાલકે એકટીવાને હડફેટે લીધું હતું.
જેથી એકટીવા સવાર દંપતી ફંગોળાઈ પડી ગયું હતું અકસ્માતમાં ભુપેન્દ્રભાઈને ઈજા પહોંચી હતી તેમજ રંજનબેન ઉપર ટ્રકનો પાછળનો જોટો ફરી વળતા શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
