કેશોદના શેરગઢમાં જંબો થ્રેસરમાં ચૂંદડી ફસાઇ જતાં યુવતીનું મોત
મગફળી કાઢવાની કામગીરી દરમિયાન બનેલી ઘટના, પરિવાર આધાતમાં
કેશોદ તાલુકાના શેરગઢ ગામના વાડી વિસ્તારમાં મગફળી કાઢવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે એક અત્યંત કરૂૂણ અને ગમખ્વાર દુર્ઘટના બની હતી. જંબો થ્રેસરમાં કપડાં આવી જવાથી એક યુવતી ફસડાઇ પડતાં તેનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું. આ ઘટનાથી મજૂરી કામે ગયેલા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.મૂળ પીખોર ગામના અને હાલ કેશોદ ખાતે રહેતા અજયભાઈ દયાતરનો પરિવાર મજૂરીકામ કરીને ગુજરાન ચલાવે છે.
તેમની પુત્રી ખુશાલીબેન અજયભાઈ દયાતર (ઉં.વ. આશરે 20) પણ પરિવાર સાથે શેરગઢ ગામના વાડી વિસ્તારમાં મગફળી કાઢવાના કામે ગયાં હતાં.શેરગઢની વાડીમાં જ્યારે મગફળી કાઢવા માટે જંબો થ્રેસર મશીન ચાલુ હતું ત્યારે અકસ્માતે ખુશાલીબેનની ચુંદડી થ્રેસરમાં ફસાઈ ગઈ હતી. ચુંદડી ફસાતા જ ખુશાલીબેન મશીનની સાથે ખેંચાઈને ગંભીર રીતે પછડાય પડ્યાં હતી.દુર્ઘટના બાદ તાત્કાલિક સ્થાનિક લોકો દ્વારા અને પરિવારજનો દ્વારા યુવતીને ઇજાગ્રસ્ત હાલતમાં બહાર કઢાઈ હતી અને 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને કેશોદની સરકારી હોસ્પિટલ ખાતે તાત્કાલિક ખસેડવામાં આવ્યાં હતાં.
જોકે, હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તપાસ કરતાં યુવતીને મૃત જાહેર કરી હતી.ખુશાલીબેનના મોતને પગલે મજૂરીકામે ગયેલાં તેમના માતા-પિતા અને 2 ભાઈઓ સહિત સમગ્ર પરિવાર ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો છે. મજૂરી કરીને પરિવારને સહાયરૂૂપ થતી પુત્રીનું અચાનક કરૂૂણ મોત થતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.કેશોદ પોલીસે આ દુર્ઘટના અંગે અકસ્માતે ગુન્હો નોંધી પોસ્ટમોર્ટમ સહિતની ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ કરી રહી છે.