રાજુલા પંથકના ડોક્ટરે સુરતમાં પત્નીના ત્રાસથી કંટાળી જીવ ટૂંકાવ્યો
સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા માધવ શોપિંગ સેન્ટરમાં આવેલી નેસ્ટ હોટલની રુમમાંથી એક ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ડોક્ટરે પોતાના ડાબા હાથમાં એનેસ્થેસિયાનું ઈંજેક્શન મારી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. આપઘાતના બનાવ પાછળ ઘરકંકાસ કારણભૂત હોય તેવું જણાઈ રહ્યું છે. ડોક્ટર પાસેથી મળેલી સ્યુસાઈટ નોટ પણ મળી આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો મૂળ અમરેલીના રાજુલાના ખખબાઈ ગામના વતની અને હાલમાં ડિંડોલીમાં આવેલા ખોડિયાર રેસિડન્સીમાં રહેતા 33 વર્ષિય ડો. ભાવેશ રાહુલ ભાઈ કવાડ હોમિયોપેથિક ડોક્ટર હતા અને કિરણ હોસ્પિટલમાં નોકરી કરતા હતા. બે વર્ષ પહેલા જ તેમના લગ્ન થયા હતા. હાલમાં તેમની પત્ની અમદાવાદમાં નોકરી કરે છે. નિ: સંતાન ડોક્ટર ભાવેશ કવાડ ગોડાદરા વિસ્તારના માધવ શોપિંગ સેન્ટરમાં આવેલી હોટલની નેસ્ટ આઠ નંબરની રુમમાં શુક્રવાર રાતે રોકાયા હતા. પણ બીજા દિવસે સવારે ચેકઆઉટ ન થતાં હોટલ સંચાલકે તેમને ફોન કર્યો. જ્યારે તેમણે કોલ રિસીવ ન કર્યો તો હોટલના કર્મચારીને શંકા ગઈ.
આ વાતની જાણ તાત્કાલિક પોલીસને કરી. પોલીસ પણ આવી ગઈ અને જવાનોની હાજરીમાં રુમમો દરવાજો ખોલતા તબીબનો મૃતદેહ મળી આવ્યો હતો. બાદમાં પોલીસે તપાસ શરુ કરી. જેમાં રુમમાંથી ઈંજેક્શન સહિતની વસ્તુઓ મળી આવી હતી. ડોક્ટરે પોતાના ડાબા હાથમાં એનેસ્થેસિયાનું ઈંજેક્શન મારી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી ડોક્ટરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યો. જ્યાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પોલીસે ડોક્ટર પાસેથી ડાયરી કબ્જે કરી હતી. જેમાં સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. આ નોટ પોતાની પત્નીને સંબોધીને લખી હતી. જેથી એવું લાગી રહ્યું છે કે ડોક્ટરે આ પગલું ઘરકંકાસના કારણે ભર્યું હોય. હવે આ કેસમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.
