નવી કોર્ટમાં ટેબલનો વિવાદ ઉકેલવા ન્યાયાધીશો અને વકીલોની કમિટી રચના
- વકીલોએ ઊભા ઊભા સાધારણ સભા યોજી હડતાળ અને લોક અદાલત બહિષ્કારની ચીમકી આપ્યા બાદ કોર્ટે વ્યવસ્થા માટે ખાતરી આપતા મામલો થાળે
રાજકોટમાં નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગમાં ટેબલનો રાખવામાં મુદ્દે ચાલતો વિવાદ ફરી સળગ્યો હોય તેમ બે દિવસ પૂર્વે વકીલોએ જગ્યાની ફાળવણી નહીં થતા પોતાની જાતે ટેબલ રાખી દીધા હતા અને જજો દ્વારા પોલીસ બોલાવવામાં આવતા વકીલોમાં રોષ ફેલાયો હતો અને વકીલો દ્વારા તાબડતોડ જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું હતું અને જે સાધારણ સભામાં વકીલોએ ઉભા ઉભા ચર્ચા વિચારણા કરી હતી અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા માટે સિનિયર વકીલોની કમિટી રચી હતી. અને એક દિવસની હડતાળ અને લોક અદાલતના બહિષ્કારનો ઠરાવ કર્યો હતો. ત્યારે ટેબલની જગ્યા ફાળવણી માટે ગુચવાયેલું કોકડું ઉકેલવા ન્યાયાધીશ દ્વારા પણ એક કમિટીની રચના કરવામાં આવી છે અને ટૂંક સમયમાં ટેબલો મુદ્દે ચાલતો વિવાદ ઉકેલવા આયોજન કરાયું છે.
રાજકોટમાં નવી બનેલી કોર્ટ બિલ્ડીંગમાં ટેબલ રાખવા મુદ્દે છેલ્લા લાંબા સમયથી વિવાદ વકર્યો છે ત્યારે હાઇકોર્ટની સૂચના બાદ પણ વકીલોને ટેબલ રાખવા માટે જગ્યા ફાળવવામાં નહીં આવ્યાના આક્ષેપ સાથે વકીલોએ બે દિવસ પૂર્વે જ પોતાની જાતે ટેબલો ગોઠવી દીધા હતા જે ઘટનાને લઈને રચાયેલી કમિટીના ચાર ન્યાયાધીશો દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસ બોલાવી હતી. પોલીસ આવતાની સાથે જ વકીલોમાં રોષ ભભૂક્યો હતો અને ન્યાયાધીશ દ્વારા પોલીસને બોલાવવામાં આવેલી ઘટનાને વખોડી કાઢી હતી. જેને પગલે રાજકોટ બાર એસોસિએશન દ્વારા તાત્કાલિક જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું હતું જેમાં બાર એસોસિએશનના હોદ્દેદારો સહિતના સિનિયર જુનિયર વકીલો ઉપસ્થિત રહ્યા હતા અને નવા કોર્ટ બિલ્ડિંગમાં ટેબલ ફાળવણીમાં રહેલ ઝેરોક્ષ મશીન, સ્ટેપ વેન્ડર, બોન્ડ રાઇટરની જગ્યા ફાળવણી તેમજ પોસ્ટ ઓફિસ, એટીએમ, કેન્ટીન પાર્ટીશન અને દરવાજા સહિતના જુદા જુદા મુદ્દાઓ અંગે વકીલો દ્વારા ઉભા ઉભા ચર્ચા કરી વિરોધ નોંધાવ્યો હતો. બાર એસોસિયેશન દ્વારા સિનિયર વકીલોની કમિટી બનાવવામાં આવી હતી જેમાં પૂર્વ પ્રમુખ લલિતસિંહ શાહી, અનિલભાઈ દેસાઈ, પિયુષભાઈ શાહ, દિલીપભાઈ પટેલ, સંજયભાઈ વ્યાસ, ગીરીશભાઈ ભટ્ટ, આર.એમ. વારોતરીયા, મહર્ષિભાઈ પંડ્યા, જયદેવભાઈ શુક્લ, જનકભાઈ પંડ્યા, કેતનભાઇ શાહ, શ્યામલભાઈ સોનપાલ, જે.એફ. રાણા, યોગેશભાઈ ઉદાણી, ગીરીરાજસિંહ જાડેજા અને પરેશભાઈ મારુંની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી અને રચાયેલી કમિટીના સભ્યો અને બાર એસોસિએશનના હોદ્દેદારો પડતર પ્રશ્નોના ઉકેલ માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા માટે પણ કટિબંધ હોવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો અને અને ઉપરોક્ત મુદ્દાઓ અંગે નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી 4થી માર્ચના રોજ એક દિવસની હડતાલ અને 9મી માર્ચના રોજ યોજાવા જઈ રહેલી લોક અદાલતનો બહિષ્કાર કરવાનો સરવાનુંમતે ઠરાવ કરવામાં આવ્યો હતો. વકીલોની સાધારણ સભા મળ્યા બાદ નવી કોર્ટ બિલ્ડિંગમાં ટેબલઓને લઈને ચાલતા વિવાદને ડામવા અને વકીલોના હિતને ધ્યાને લઈને ડિસ્ટ્રીકટ જજ દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે જેમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ જે.ડી.સુથાર, છઠા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એસ.વી. શર્મા, નવમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ બી.બી. જાદવ, સિનિયર ધારાશાસ્ત્રી અનિલભાઈ દેસાઈ, સંજયભાઈ વ્યાસ, પરેશભાઈ મારુ, એ.કે. જોશી અને સરકારી વકીલ કે.બી. ડોડીયા, દિલીપ મહેતા અને અતુલ જોશીનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ગુજરાત વડી અદાલતમાં થયેલ વિસ્તૃત ચર્ચા મુજબ ટેબલ ફાળવણી અંગે જરૂૂરી કાર્યવાહી કરવા રાજકોટ બાર એસોસિએશનને સંપૂર્ણ સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
કમિટીમાંથી બે સરકારી વકીલના રાજીનામાં
રાજકોટની નવર્નિમીત કોર્ટ બિલ્ડીંગમાં ટેબલ રાખવા મુદ્દે ચાલતા વિવાદમાં ગુચવાયેલુ કોકડુ ઉકેલવા માટે ન્યાયધીશ દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી હતી. જે કમિટીને 24 કલાક પણ પૂરા નથી થયા ત્યાં કમિટીના બે સરકારી વકીલોએ રાજીનામા ધરી દીધા છે. નવર્નિમીત કોર્ટ બિલ્ડીંગમાં બાર એસોસીએશનના વકીલો માટે ટેબલ રાખવાની જગ્યા મુદ્દે વિવાદ સર્જાયો હતો જેનો અંત લવાવ માટે ડ્રીસ્ટ્રીક જજ દ્વારા કમિટીની રચના કરવામાં આવી હતી. જેમાં 3 એડીશ્નલ ડ્રીસ્ટ્રીક જજ, 4 સીનીયર ધરા શાસ્ત્રી અને 3 સરકારી વકીલનો સમાવેશ કર્યો હતો જો કે, આ કમિટી બનાવ્યાના 24 કલાક થયા નથી ત્યા સરકારી વકીલ દીલીપ મહેતા અને અતુલ જોશીએ રાજીનામું આપી દીધુ હોવાનુ જાણવા મળ્યુ છે.