For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

70,000 માજી સૈનિકોનો સરકાર સામે મોરચો

12:27 PM Sep 05, 2025 IST | Bhumika
70 000 માજી સૈનિકોનો સરકાર સામે મોરચો

બાર માંગણીઓ સાથે 16મી સુધી રાજયભરમાં યાત્રા, ગાંધીનગર-અમદાવાદમાં જનસભા સાથે સમાપન થશે

Advertisement

ગુજરાતના પૂર્વ સૈનિકો ફરી એકવાર પોતાના હક્કો અને સન્માન માટે રસ્તા પર ઉતરવાના છે. આજે 5 સપ્ટેમ્બરથી શરૂૂ થતી સૈનિક સ્વાભિમાન યાત્રા 16 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરશે. આ યાત્રામાં આશરે 70,000 પૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનો જોડાશે, જેમાં અનામત, હથિયારના લાઇસન્સ, પેન્શન, અને અન્ય સહાયના નિયમોના અમલમાં થતી બેદરકારી જેવા 12 મુખ્ય મુદ્દાઓ પર સરકારનું ધ્યાન ખેંચવામાં આવશે. આ યાત્રાનું સમાપન ગાંધીનગર અને અમદાવાદમાં વિશાળ જનસભાઓ સાથે થશે જે રાજ્ય સરકાર માટે એક મોટો પડકાર બની શકે છે. આ પહેલા પૂર્વ સૈનિકોએ ગાંધીનગર અને અમદાવાદમાં પોતાની માગોને લઈને સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યા હતા. જોકે, તેનું કોઈ નક્કર પરિણામ આવ્યું નહતું. તેથી એક વખત ફરીથી પૂર્વ સૈનિકો પોતાની માંગણીઓ સાથે મેદાનમાં ઉતરવા માટે તૈયારી કરી લીધી છે. આ યાત્રા ગુજરાતના ઇતિહાસમાં પૂર્વ સૈનિકો દ્વારા કરવામાં આવતું સૌથી મોટું આંદોલન હોઈ શકે છે.

આશરે 70,000 પૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનો આ યાત્રામાં ભાગ લેશે, જે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પસાર થશે. યાત્રાનો મુખ્ય હેતુ સરકારને 12 મુદ્દાઓની યાદી રજૂ કરી, તેનું નિરાકરણ લાવવાનો છે. આ યાત્રા દરમિયાન ગાંધીનગર અને અમદાવાદમાં વિશાળ જનસભાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સૈનિકો પોતાની માંગણીઓ સરકાર સમક્ષ મૂકશે.

Advertisement

યાત્રાનું સમાપન ગાંધીનગર અને અમદાવાદમાં વિશાળ જનસભાઓ સાથે થશે, જેમાં પૂર્વ સૈનિકો સરકાર સમક્ષ પોતાની માંગણીઓનું મેમોરેન્ડમ રજૂ કરશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓને આ મુદ્દાઓનું નિરાકરણ કરવા અપીલ કરવામાં આવશે. અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલા સ્થળો પર જનસભાઓ યોજાશે, જેમાં દેશભક્તિના ગીતો, સૈનિકોના બલિદાનની ગાથાઓ, અને સ્થાનિક લોકોનું સમર્થન જોવા મળશે. આ જનસભાઓમાં ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખી પણ રજૂ થશે, જેમાં ગરબા, લોકનૃત્ય, અને દેશભક્તિના ગીતોનો સમાવેશ થઈ શકે છે.

પૂર્વ સૈનિકોની મુખ્ય માંગણીઓ
પૂર્વ સૈનિકોની 12 માંગણીઓમાં મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે.
1. અનામતનો અમલ : સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પૂર્વ સૈનિકો અને તેમના પરિવારો માટે અનામતની જોગવાઈનો યોગ્ય અમલ.
2. હથિયારના લાઇસન્સ : પૂર્વ સૈનિકોને હથિયારના લાઇસન્સ આપવામાં થતી વિલંબ અને નિયમોની જટિલતાને દૂર કરવી.
3. પેન્શનની નિયમિતતા : વન રેન્ક, વન પેન્શન યોજનાનો સંપૂર્ણ અમલ અને પેન્શનની બાકી રકમની ચૂકવણી.
4. આરોગ્ય સુવિધાઓ : એક્સ-સર્વિસમેન કન્ટ્રિબ્યુટરી હેલ્થ સ્કીમ હેઠળ સારી આરોગ્ય સેવાઓ અને હોસ્પિટલોમાં પ્રાથમિકતા.
5. નોકરીઓમાં પ્રાથમિકતા: રાજ્યની સરકારી અને ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં પૂર્વ સૈનિકોને અગ્રતા આપવી.
6. શૈક્ષણિક સુવિધાઓ: પૂર્વ સૈનિકોના બાળકો માટે શિક્ષણમાં સ્કોલરશિપ અને અનામતની વ્યવસ્થા.
7. વસાહતોની સુવિધાઓ: પૂર્વ સૈનિકો માટે રહેણાંક વસાહતોમાં મૂળભૂત સુવિધાઓનો વિકાસ.
8. આર્થિક સહાય: નાના વ્યવસાયો અને સ્ટાર્ટઅપ્સ માટે લોન અને ગ્રાન્ટની સરળ પ્રક્રિયા.
9. શહીદ પરિવારોનું સન્માન : શહીદોના પરિવારોને નાણાકીય અને સામાજિક સુરક્ષા.
10. વૃદ્ધ સૈનિકોની સુરક્ષા : વૃદ્ધ પૂર્વ સૈનિકો માટે વિશેષ આરોગ્ય અને સામાજિક યોજનાઓ.
11. કાનૂની સહાય : કાનૂની મુદ્દાઓમાં પૂર્વ સૈનિકોને મફત કાનૂની સલાહ અને સહાય.
12. સૈનિક કલ્યાણ બોર્ડની કામગીરી : રાજ્ય સૈનિક કલ્યાણ બોર્ડની કામગીરીને વધુ પારદર્શી અને અસરકારક બનાવવી.

Advertisement
Tags :
Advertisement
Advertisement