વનરાજોની વસતી ગણતરી માટે 700 ટીમો બનાવાઇ 3000થી વધુ કર્મચારીઓ, 700 વોલન્ટીયર્સ 3400 ગામ અને જંગલ વિસ્તાર ખુંદશે
સરકારના નિર્ણય મુજબ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવતા મહિને એશિયાટિક લાયન એટલે કે ભારતીય સિંહોની વસતી ગણતરીના વૈજ્ઞાનિક અભિયાનનો આરંભ થવા જઈ રહ્યો છે. આ અભિયાન અંતર્ગત અંદાજે 3000થી વધુ કર્મચારી તથા વોલન્ટિયર્સ 650થી 700 જેટલી ટીમોમાં વહેંચાઈને લગભગ 3400 ગામો તથા જંગલ વિસ્તારમાં સિંહોની ગણતરી કરશે. ઓપરેશન લાયન કાઉન્ટથ અભિયાનમાં વિશ્વસ્તરે સ્વીકાર્ય બ્લોક કાઉન્ટ પદ્ધતિ તથા ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે. દરેક સબ-ઝોનમાં હાઇ રેઝોલ્યુશન કેમેરા મુકાશે. જેથી દરેક સિંહના સ્પષ્ટ ફોટા મેળવી શકાય અને ડુપ્લિકેશન ટાળી શકાય.
ઓપરેશન લાયન કાઉન્ટ અંતર્ગત બે તબક્કામાં સિંહ ગણતરી થશે. જે મુજબ પ્રાથમિક ગણતરી આગામી 10 મેના રોજ બપોરે 2 વાગ્યાથી 11 મે બપોરે 2 વાગ્યા સુધી યોજાશે. જે બાદ 12 મે બપોરે 2 વાગ્યાથી 13 મે બપોરે 2 વાગ્યા સુધી ફાઇનલ ગણતરી હાથ ધરાશે.
નોંધનિય છે કે, વર્ષ 1995માં રાજ્યમાં માત્ર 304 સિંહો હતા, જે 2015માં વધીને 523 થયા હતા અને 2020માં થયેલા પૂનમ અવલોકન પ્રમાણે આ સંખ્યા 674 પર પહોંચી હોવાનો અંદાજ છે. હાલ આ આંકડો વધુ વધી શકે તેવો અનુમાન છે, કારણ કે છેલ્લા દસ વર્ષમાં સિંહોનું વસવાટ 5000 ચો.કિ.મીથી વધુ વિસ્તર્યું છે. આ સર્વેમાં બિટગાર્ડ, વનરક્ષક, વનપાલથી લઈ વન વિભાગના ટોચના અધિકારીઓ, નિરીક્ષકો તથા અનેક વોલન્ટિયર્સ સામેલ થશે. દરેક વ્યક્તિને ચોક્કસ જવાબદારી સોંપવામાં આવશે અને સમગ્ર પ્રક્રિયા જીપીએસ મેપિંગ અને ફોટોગ્રાફિક ડોક્યુમેન્ટેશન દ્વારા દસ્તાવેજિત થશે. ભારત અને સમગ્ર વિશ્વ માટે અનન્ય ગણાતા એશિયાઈ સિંહોની વસતી પર દેખરેખ રાખવું એ માત્ર રાજ્ય માટે નહીં, પણ રાષ્ટ્રીય ગૌરવ સાથે જોડાયેલ બાબત છે. આ મહત્ત્વપૂર્ણ ઓપરેશનમાંથી મળતી જાણકારી આવતા દાયકામાં ક્ધઝર્વેશનની દિશા નક્કી કરશે.