7 વર્ષની પુત્રીએ ભૂલથી દવા પી લેતા પતિ ખીજાશે તેવા ડરથી માતાએ પણ ઝેર પીધું: બાળકીનું મોત
- પરિણીત યુવાન સાથે લિવઇનમાં રહેતી ત્યકતાએ ઝઘડો થતાં ઝેર પીધાના રટણ બાદ પરિવારે બયાન બદલતા પોલીસ ધંધે લાગી
શહેરમાં કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાછળ આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતાં માતા-પુત્રીને ઝેરી દવાની અસર થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ સારવારમાં 7 વર્ષની પુત્રીનું મોત થયું હતું. માતાના કહેવા મુજબ દિકરી ભુલથી સિરપની બોટલને બદલે ઝેરી દવાની બોટલમાંથી દવા પી ગઈ હતી. એ પછી પતિને ખબર પડશે તો પોતાને ખીજાશે એવી બીક લાગતાં પોતે પણ દવા પી લીધી હતી. જો કે આ બનાવમાં સાચુ શું છે? તે જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી મુજબ કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાછળ આવેલી સોમનાથ સોસાયટી-7માં રહેતાં સુધાબેન મુકેશભાઈ રાજ્યગુરૂૂ (ઉ.વ.32)ને વહેલી સવારે સાડા પાંચેક વાગ્યે ઝેરી અસર થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. જાણ થતાં જ આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં સુધાબેનના માસી સહિતના સગાએ જણાવ્યું હતું કે સુધાબેનના પ્રથમ લગ્ન તૂટી ગયા બાદ તેણીએ આજથી દસેક વર્ષ પહેલા ગુંદાવાડીના મુકેશભાઈ રાજ્યગુરૂૂ સાથે મૈત્રી કરાર કર્યા હતાં. મુકેશભાઈના પ્રથમ પત્નિ હયાત હોઈ તે ગુંદાવાડીમાં તેની સાથે પણ રહે છે. મુકેશભાઈ અને સુધાબેન પતિ-પત્નિ તરીકે જ રહેતાં હતા. સુધાબેને મુકેશભાઈ થકી એક દિકરીને જન્મ આપ્યો હતો. આ દિકરી ખુશી હાલમાં 7 વર્ષની હતી. સુધાબેન સવારે ભાનમાં ન હોઈ બોલી શકતાં ન હોઈ તેમના માસી સહિતના લોકોએ પ્રાથમિક પુછતાછમાં જણાવ્યું હતું કે સુધાબેનને તેના પતિ મુકેશભાઈ સાથે ફોનમાં ચડભડ થતાં તેણીને માઠુ લાગતાં દવા પી લીધી હતી. બીજી તરફ સુધાબેનની દિકરી ખુશી (ઉ.વ.7)ને પણ ઝેરી અસર થઈ હોઈ તેની જાણ થતાં મુકેશભાઈ ગુંદાવાડીના પોતાના ઘરેથી સોમનાથ સોસાયટીમાં દોડી ગયા હતાં. જ્યાંથી દિકરી ખુશીને ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલમાં કે. ટી. ચિલ્ડ્રન વિભાગમાં ખસેડી હતી. પરંતુ અહિ આ બાળાનું મોત નિપજતાં કલ્પાંત સર્જાયો હતો.
આજીડેમના પીએસઆઈ એચ. જે. સોલંકી, શૈલેષપરી ગોસ્વામી સહિતે જરૂૂરી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક પુછતાછમાં મુકેશભાઈ રાજ્યગુરૂૂએ જણાવ્યું હતું કે મારે પ્રથમ પત્નિ છે તેની સાથે રહુ છું અને સુધા સાથે મારે અગાઉ કેવડાવાડીમાં સાથે નોકરી કરતાં હોઇ પ્રેમ થઇ જતાં મૈત્રી કરાર કર્યા હતાં. મારે હાલમાં ગુંદાવાડીમાં હોઝીયરી કટલેરીની દુકાન છે. મારી પ્રથમ પત્નિને બે સંતાન છે. સુધાના અગાઉ લગ્ન થઈ ગયા હતાં. પણ ત્યાં છુટ થઈ ગયું હતું. મારે અને સુધાને એક દિકરી ખુશી હતી. તેણીને ઝેરી દવાની અસર કેવી રીતે થઇ તે મને ખબર નથી. સુધાબેન બપોરે ભાનમાં આવ્યા ત્યારે કહ્યું હતું કે દિકરીએ ઘરમાં સિરપને બદલે ઝાડવામાં છાટવાની દવા ભુલથી પી લીધી હતી. આ કારણે મને પતિ ઠપકો આપશે તેવો ભય લાગતાં મેં પણ દવા પી લીધી હતી. જો કે ખરેખર શું બન્યું? તે જાણવા પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.