રાજકોટ ગ્રામ્ય સહિત રાજ્યમાં 6 નવી DEO કચેરી શરૂ કરાશે, શિક્ષણ વિભાગનો નિર્ણય
નવી કચેરીની વૈકલ્પિક વ્યવસ્થા અને મહેકમ મંજૂર
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના શિક્ષણ વ્યવસ્થાપનને વધુ વ્યવસ્થિત અને સરળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. 17 નવેમ્બર શિક્ષણ વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલા ઠરાવ અનુસાર રાજ્યમાં 6 નવી જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીઓ શરૂૂ કરવામાં આવશે. આ નિર્ણય અંતર્ગત અંજાર (કચ્છ), અમદાવાદ શહેર (પૂર્વ વિસ્તાર), વડોદરા (ગ્રામ્ય), રાજકોટ (ગ્રામ્ય), સુરત (ગ્રામ્ય) અને ગાંધીનગર (ગ્રામ્ય) ખાતે નવી કચેરીઓની વૈકલ્પિક વ્યવસ્થા અને મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે.
આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય કામગીરીનું ભારણ ઘટાડવું અને શાળાઓનું નિરીક્ષણ વધુ અસરકારક બનાવવાનો છે. શિક્ષણ વિભાગે કચ્છ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને સુરત જિલ્લાની હાલની કચેરીઓના કાર્યક્ષેત્રનું વિભાજન કરીને નવી જગ્યાઓ ઉભી કરી છે. આ નવી કચેરીઓ માટે જિલ્લા શિક્ષણાધિકારી (વર્ગ-1) ની નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે અને વર્ગ-2, 3 અને 4 ના કર્મચારીઓને હાલના મહેકમમાંથી તબદીલ કરવામાં આવશે.
ક્યાં કચેરીઓ શરૂ થશે?
અંજાર (કચ્છ): શેઠ ડી.વી. સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા, સવાસરા નાકા બહાર, અંજાર.
અમદાવાદ શહેર (પૂર્વ): બ્લોક નં. બી, બહુમાળી ભવન, હિમાલયા મોલની સામે, વસ્ત્રાપુર.
વડોદરા (ગ્રામ્ય): જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ત્રીજો માળ, કારેલીબાગ.
ગાંધીનગર (ગ્રામ્ય): શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યા મંદિર, સેક્ટર-7.
રાજકોટ (ગ્રામ્ય): જૂના વઢવાણનો ઉતારો, કસ્તુરબા માર્ગ, જિલ્લા બેન્કની સામે.
સુરત (ગ્રામ્ય): બ્લોક-એ, ત્રીજો માળ, જિલ્લા સેવા સદન-2, અઠવાલાઇન્સ.