ગુજરાતના 6 IPS ને બઢતી, 9 ASPને પોસ્ટિંગ અપાયા
IPS મનોજ શશીધર અને રાજુ ભાર્ગવને DGP તરીકે બઢતી અન્ય 4 DIG કક્ષાના અધિકારીઓને IG તરીકે પ્રમોશન
ગુજરાત કેડરના 6 આઈપીએસ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. તેમજ વર્ષ 2022-23 બેચના 9 એએસપીને પ્રોબેશન માટે અલગ અલગ જગ્યાએ પોસ્ટીંગ આપવામાં આવ્યા છે. બઢતી પામેલા આઈપીએસ અધિકારીઓમાં કેન્દ્રમાં ડેપ્યુટેશન ઉપર ફરજ બજાવતા મનોજ શશીધર અને રાજકોટનાં પૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને ડીજીપી તરીકે જ્યારે અન્ય 4 ડીઆઈજી કક્ષાના અધિકારીઓને આઈજીપી તરીકે બઢતી અપાઈ છે.
1994 બેચના IPS અધિકારી મનોજ શશીધરને DGP તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જેઓ હાલમાં કેન્દ્રીય ડેપ્યુટેશન પર CBI માં કાર્યરત છે. તેમજ 1995ની બેચના સિનિયર IPS અધિકારી રાજકોટના પૂર્વ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવને પણ DGP તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત 4 IPS અધિકારીઓને DIG માંથી IG તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં 2007ની બેચના દિવ્યા મિશ્રા, 2007ની બેચના દીપન ભદ્રન, 2007ની બેચના સૌરભ તોલંબિયા અને 2007ની બેચના પરીક્ષિતા રાઠોડને IG તરીકે બઢતી આપવામાં આવી છે. આ પ્રમોશનના રાઉન્ડમાં સમાન બેચના હોવા છતાં મકરંદ ચૌહાણને પ્રમોશન મળ્યું નથી. આ અંગે વહીવટી કારણો શું છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. તમામ અધિકારીઓને પોતાની જગ્યા ઉપર જ પ્રમોશન આપવામાં આવ્યા છે.
આ સાથે જ 2022-2023ની બેચના IPS અધિકારીઓને તાલીમ બાદ ASP તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. જેમાં 2022ની બેચના અંકિતા મિશ્રાને ASP અસલાલી (અમદાવાદ), 2022ની બેચના ઘનશ્યામ ગૌતમને ASP ભાવનગર ગ્રામ્ય, 2022ની બેચના અક્ષેશ મહેન્દ્રભાઇને ASP માંડવી (સુરત), 2022ની બેચના હર્ષ શર્માને ASP બોડેલી (છોટા ઉદેપુર), 2023ની બેચના ગૌતમ વિવેકાનંદને ASP મુંદ્રા (કચ્છ), 2023ની બેચના વેદીકા બિહાનીને ASP સુરેન્દ્રનગર, 2023ની બેચના નવિન ચક્રવર્તી રેપુટીને ASP જસદણ (રાજકોટ ગ્રામ્ય), 2023ની બેચના વિકાસ યાદવને ASP સંતરામપુર (મહિસાગર) અને 2023ના બેચના સંદિપ ટીને ASP ધરમપુર (વલસાડ) તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.
આ બદલીના દોરમાં સૌથી વધુ ચર્ચા સુરેન્દ્રનગર ડિવિઝનની રહી છે. અત્યાર સુધી સુરેન્દ્રનગરમાં વિભાગીય પોલીસ અધિકારી (DySP) તરીકે ફરજ બજાવતા વી.બી. જાડેજા પાસેથી ચાર્જ લઈ લેવામાં આવ્યો છે અને તેમના સ્થાને નવા IPS અધિકારી વેદિકા બિહાનીને મુકવામાં આવ્યા છે. જ્યારે સરકાર દ્વારા વી.બી. જાડેજાને હાલમાં કોઈ નવી જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી. જાહેરનામામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે અન્ય હુકમ ન થાય ત્યાં સુધી તેઓને ‘વેઈટિંગ ફોર પોસ્ટિંગ’ એટલે કે લીવ રિઝર્વમાં રાખવામાં આવ્યા છે