590 શંકાસ્પદ લોકોને ઘર કે પૂરાવા વગર પાસપોર્ટ મળી ગયા !
ડોક્યુમેન્ટ વેરિફિકેશન દરમિયાન ઘટસ્ફોટ, પાસપોર્ટ નીકળ્યા કઇ રીતે? પોલીસે શરૂ કરેલી તપાસ, કુલ 143 બાંગ્લાદેશી હોવાનું સ્પષ્ટ થતાં ડિપોર્ટ કરવા તૈયારી
ગુજરાતમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી ઘૂસણખોરો ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે. આ તમામ ગેરકાયદે ઘૂસણખોરોને પરત બાંગ્લાદેશ રવાના કરવાની કવાયત શરૂૂ કરવામાં આવી છે. જેના ભાગરૂૂપે અમદાવાદ પોલીસે ચંડોળા તળાવ, શાહઆલમ, સરદારનગર, રામોલ અને બાપુનગરના ગરીબનગરમાં સર્ચ ઓપરેશન કરી એક હજાર શંકાસ્પદ લોકોની અટકાયત કરી તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન સહિતની તપાસ શરૂૂ કરી હતી.
તપાસ દરમિયાન 143 લોકો બાંગ્લાદેશી ઘૂસણખોરો હોવાનું સ્પષ્ટ થતાં તેમને ડિપોર્ટ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. બીજી તરફ ઘણા શંકાસ્પદ લોકોને તપાસ માટે પોલીસ સમક્ષ હાજર રહેવાની સૂચના આપી ઘરે જવા દેવાયા છે. તપાસમાં 590 એવા લોકો મળ્યા છે કે, જેમના ઘર કે કોઇ સાચા ડોક્યુમેન્ટસ નથી તેમ છતાં તેમના પાસપોર્ટ ઇશ્યૂ થઇ ગયા છે! આ લોકોએ પાસપોર્ટ કઈ રીતે કઢાવ્યા તે દિશામાં તપાસ શરૂૂ કરાઈ છે. ચંડોળા અને આસપાસના વિસ્તારમાં પોલીસ કમિશનરે પોતાની ટીમ સાથે રૂૂબરૂૂ વિઝિટ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. સાથે સાથે ગેરકાયદે ઘૂસણખોરી કરનારાઓ સામે પગલાં લેવાની કાર્યવાહી ચાલુ રાખવાનું પણ જણાવ્યું હતું.
ચંડોળા લોકોથી ઉભરાઇ રહ્યું છે. જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં બાંગ્લાદેશી ઘૂસણખોરો વસી રહ્યા છે. પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંઘ મલિક, જેસીપી ક્રાઇમ બ્રાંચ શરદ સિંઘલ, અજીત રાજિયાન સહિતના અધિકારીઓ પોતાની ટીમ સાથે ચંડોળા તળાવ ખાતે તપાસ માટે પહોંચ્યા હતા. તમામ શંકાસ્પદ લોકોની પૂછપરછ અને તેમના ડોક્યુમેન્ટસની ચકાસણી ચાલી રહી છે. પોલીસે મેગા કોમ્બિંગ કરીને એક જ રાતમાં એક હજાર શંકાસ્પદ લોકોને ડિટેઇન કર્યા હતા. તમામની તપાસ કરતાં 143 લોકો બાંગ્લાદેશી નાગરિક હોવાનું સામે આવ્યું હતું. આ તમામને ડિપોર્ટ કરાશે.
આશ્ચર્યની બાબત એ છે કે, તપાસ દરમિયાન 590 લોકો પાસેથી પાસપોર્ટ પણ મળી આવ્યા છે. તેમની પાસે કોઇ યોગ્ય ડોક્યુમેન્ટ નહિ હોવા છતાં પાસપોર્ટ કેવી રીતે ઇશ્યૂ થયા તેની તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત શંકાસ્પદ લોકોની પૂછપરછ માટે જગ્યા ઓછી પડતી હોવાથી પોલીસે મહાનગરપાલિકા પાસેથી તપાસ માટે રેન બસેરાની માગણી કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.
આધારકાર્ડ જેમની ભલામણ ચિઠ્ઠીથી નીકળ્યા તેમની પણ તપાસ કરાશે
બાંગ્લાદેશી નાગરિકો બોર્ડર પર વ્યવહાર કરીને ભારતમાં ઘૂસી સીધા અમદાવાદના ચંડોળા, શાહઆલમ, સરદારનગર કે બાપુનગરના ગરીબનગરમાં આવીને વસવાટ કરે છે. આ ઘૂસણખોરોને ઝેરોક્ષની દુકાન ધરાવતો એક એજન્ટ સ્થાનિક રાજકીય અગ્રણીની ચિઠ્ઠી લખાવી ભલામણથી કોઇ પણ ડોક્યુમેન્ટસ વગર આધાર કાર્ડ કઢાવી આપતો હોવાની બાતમી મળી છે. જેના આધારે બીજા ડોક્યુમેન્ટ પણ તૈયાર કરવામાં આવે છે. આમ ગેરકાયદે ઘૂસણખોરોને મદદ કરનારા દલાલની પૂછપરછ ચાલી રહી છે. હવે ચિઠ્ઠીઓ લખી આપનાર રાજકીય અગ્રણીઓની પણ પૂછપરછ કરાશે એમ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
ચંડોળામાં ખાલી જમીનો પર દબાણ કરનાર લલ્લા બિહારીની તપાસ
ચંડોળામાં ખાલી જગ્યા પડી હોય તેના પર દબાણ કરી પોતાનો કબજો કરી લેનાર લલ્લા બિહારીની વિગતો પોલીસને ધ્યાનમાં આવી છે. લલ્લા બિહારીએ મોટી જગ્યા પર કબજો કરી બાંગ્લાદેશી ઘૂસણખોરોને આશરો આપ્યો હોવાની ચોંકાવનારી બાબત પોલીસ તપાસમાં સામે આવી છે. આ બાબતની વધુ તપાસ કરવામાં આવશે તેમ અધિકારીઓ જણાવી રહ્યા છે.