રાજકોટ જિલ્લામાં 51 હજાર મતદારો મૃત નીકળ્યા
રાજકોટની 8 વિધાનસભાના 2256 બુથના મત વિસ્તારમાં ગત 4 નવેમ્બરથી શરૂૂ કરવામાં આવેલી સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવીઝન(જઈંછ)ની 60 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જિલ્લામાં કુલ 23.91 લાખ મતદારોને સૌપ્રથમ ફોર્મ વિતરણ કરાયા બાદ તેમાંથી આજની સ્થિતિએ કુલ 15 લાખ ફોર્મ ભરાઈને પરત આવ્યા છે. જ્યારે તેમાં 51000 મતદારો એવા છે કે તેમનું મૃત્યુ થઈ ગયું છે તેમ છતાં પણ તેમના નામ મતદારયાદીમાં હતા. જ્યારે સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 1.66 લાખ જેટલા મૃત મતદારો હોવાનું જાણવા મળી રહ્યું છે. આગામી 4 ડિસેમ્બર સુધીમાં ફોર્મ ભરીને પરત નહીં આપનારના નામ મતદાર યાદીમાંથી રદ થઈ જશે.
વહીવટી તંત્રના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં બીએલઓ દ્વારા ત્રણ વખત મતદારોના ઘરની મુલાકાત કરી લીધી છે. આ દરમિયા ચાર દિવસ મતદાન મથક ઉપર ખાસ કેમ્પ પણ રાખવામાં આવ્યા હતા જેમાં 2002ની યાદીમાં જે મતદારોના નામ હતા તે મતદારોએ ફોર્મ ભરી બીએલઓને જમા કરાવી લીધા છે. હવે મતદાર યાદીમાં નામ રાખવુ કે કમી કરાવવાની જવાબદારી મતદારોની છે. બીએલઓ ફોર્મ લેવા નહી આવે.
મતદારોને જે ફોર્મ આપ્યા છે તેમાં કામગીરીમાં સોમનાથ જિલ્લો મોખરે છે. રાજકોટ જિલ્લો રાજયમાં છઠ્ઠા ક્રમે છે. જયારે જામનગર જિલ્લામાં 48.35 ટકા. મોરબી જિલ્લામાં 43.64 ટકા અને પોરબંદર જિલ્લામાં 41.02 ટકા જ કામગીરી થઈ છે. વિધાનસભા બેઠકમાં સૌથી શ્રેષ્ઠ કામગીરી સાથે જસદણ વિધાનસભા 80.77 ટકા સાથે સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમે છે.
સૌરાષ્ટ્રમાં કુલ 1,66,719 મતદારો મૃત નીકળ્યા છે. તેમાં સોમનાથ જિલ્લામાં 13052, ભાવનગર જિલ્લામાં 27927, અમરેલી જિલ્લામાં 12242, રાજકોટ જિલ્લામાં 51000, સુરેન્દ્રનગર જિલ્લામાં 11825, બોટાદ જિલ્લામાં 3922, જૂનાગઢ જિલ્લામાં 21934, દ્વારકા જિલ્લામાં 9898, જામનગર જિલ્લામાં 11741, મોરબી જિલ્લામાં 5917 અને પોરબંદર જિલ્લામાં 6991 મતદારો મૃત નીકળતા આવા મતદારોના નામ મતદાર યાદીમાંથી રદ કરવામાં આવ્યા છે.
જયારે 48 વિધાનસભા બેઠકમાં 1,52,541 મતદારોનું સ્થળાંતર થયું છે. તેમાં સોમનાથ જિલ્લામાં 11985, ભાવનગરમાં 28227, અમરેલીમાં 17425, રાજકોટમાં 24730, સુરેન્દ્રનગરમાં 11825, બોટાદમાં 5914, જૂનાગઢમાં 19449, દ્વારકામાં 11447, જામનગરમાં 10946, મોરબીમાં 3555 અને પોરબંદર જિલ્લામાં 6462 મતદારોનું સ્થળાંતર થતા તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.