માધવપુર (ઘેડ)માં અંતે 36 દબાણોનો સફાયો
13 વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ સરકારી તંત્રનું મેગા ડિમોલિશન
પોરબંદર તાલુકાના માધવપુર ગામે શહેરના પાદરમાં આવેલા ડો. આંબેડકર ચોકમાં છેલ્લા કેટલાક લાંબા સમયથી કેટલાક આડેધડ ગેરકાયદે દબાણો ખડકાય જવાથી આંબેડકર ચોકની જગ્યા સદંતર દબાઈ જવા પામી હતી આવા ગેરકાયદે દબાણોને દૂર કરવાની માંગણી સાથે અહીંના સામાજિક કાર્યકર, શાંતિલાલ મેવાડા સતત લડત ચલાવી રહ્યા હતા જેનો તેર વર્ષની લાંબી લડાઇ બાદ સફળતા મળી હતી અને અંતે આજે માધવપુરના આંબેડકર ચોકમાંથી આવા ગેરકાયદે દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સવારના સાડા દશ વાગ્યાથી પૂરતા પોલીસ કાફલા અને બંદોબસ્ત સાથે પોરબંદરના તાલુકા વિકાસ અધિકારી શ્રી જે.એલ.ઠકરાર ની સીધી દેખરેખ હેઠળ નિમાયેલી અલગ અલગ ટીમોને સાથે રાખીને માધવપુર ગ્રામ પંચાયતના સરપંચ ભનુભાઇ ભૂવા અને તલાટી મંત્રી ગજેન્દ્ર લાડવા સહિત પંચાયતના સ્ટાફ અને પંચાયતના સભ્યોને સાથે રાખીને બે જેસીબી મારફતે મેગા ડીમોલેસનની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં સાંજ સુધીમાં માધવપુરના આંબેડકર ચોકમાં આડેધડ ખડકાયેલ 23 જેટલી દુકાનનો કડૂછલો બોલાવી દેવાયો હતો આ ઉપરાંત આંબેડકર ચોકની આજુ બાજુમાં મોટા જાપા વિસ્તારમાં આવેલી અન્ય દુકાનો મળીને કુલ 36 જેટલી દુકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને વર્ષોથી સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદે દબાણો ને દૂર કરીને અંદાજે કરોડો રૂૂપિયાની સરકારી જમીનને ખુલી કરાવી હતી ડીમોલેસનની કાર્યવાહી દરમિયાન કોઈ અઘટિત ઘટના કે આગ જેવી ઘટના ન ઘટે તેવા હેતુથી ફાયરબ્રિગેડ ની ટીમને પણ સાથે રાખવામાં આવેલ હતી અને 108 ઇમરજન્સી સેવાને પણ સ્થળ પર હાજર રાખવામાં આવી હતી.
માધવપુરના આંબેડકર ચોકમાં ગેરકાયદે દબાણો કરનાર દબાણકર્તાઓએ કોઈપણ ભોગે તેમના દબાણોને કાયમી માટે જાળવી રાખવા અને નહિ હટાવવા સામ દામ દંડ અને ભેદની નીતિ અખત્યાર કરવામાં આવી હતી જેના લીધે આંબેડકર ચોકમાંથી આવા દબાણોને દૂર કરવા માટે તેર વર્ષ જેવો સમય લાગ્યો હતો.