બે વર્ષમાં ગુજરાતમાં 307 સિંહના મોત: 39 વનરાજ અકસ્માતનો ભોગ બન્યા
ગુજરાત રાજ્યમાં સિંહોના મૃત્યુના આંકડાઓ સામે આવ્યા છે. છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં 307 સિંહોના મૃત્યુ થયા છે. જેમાં 268 સિંહોના કુદરતી રીતે મૃત્યુ થયા છે. 39 સિંહોના અકસ્માતે મૃત્યુ થયા છે. આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા સવાલ પર સરકારનો જવાબ મળ્યો છે. જેમાં રાજ્યમાં સિંહોના મૃત્યુના આંકડાઓ સામે આવ્યા છે.
ગીર અને ગીરનો રાજા એટલે કે, એશિયાઈ સિંહો આપણું ગૌરવ છે. આ ગૌરવવંતા સિંહોને જોવા માટે વિશ્વ ભરમાંથી પર્યટકો ગીરમાં ફરવા માટે આવે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ગીરમાં સિંહને લઈને ગેરપ્રવૃત્તિઓ થઈ રહી છે. પર્યટકોને સિંહ દર્શન કરાવવા માટે ગેરકાયદેસર લાયન શો યોજવામાં આવી રહ્યો છે.
તો બીજી તરફ ઘણી ગીર સફારીમાં પણ સિંહની પજવણી મુદ્દે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે.
સરકાર અને વન વિભાગ પણ થોડા ઘણા અંશે એશિયાઇ સિંહો, રમણિય જંગલ તેમજ વારસાને બચાવવા માટે પ્રત્યનશીલ છે. અને તેના જ લીધે સિંહોની સંખ્યા વધી છે પણ સામે હવે 2 વર્ષમાં રાજ્યમાં 307 સિંહ મોતના સમાચારનો આંકડો આવતા ચિંતાનો વિષય પણ છે કે શું ગુજરાતની શાન સિંહ ધીમે ધીમે લુપ્ત થવાનો ખતરો તોળાઈ રહ્યો છે.
સિંહ બાદ ગુજરાતના જંગલોમાં મોટી સંખ્યામાં દીપડાઓનો પણ વસવાટ જોવા મળે છે. ત્યારે અગાઉ ખકઅ શૈલેષ પરમારના પ્રશ્ન પર સરકારે આંકડાકીય જવાબ આપ્યો હતો. રાજ્યમાં બે વર્ષમાં 456 દિપડાના મૃત્યુ નોંધાયા હોવાનું ખુલ્યું છે. 201 દિપડા અને 102 બાળ દિપડાના કુદરતી મોત થયા છે. 115 દિપડા અને 38 બાળ દિપડાના અકુદરતી મૃત્યુ થયું છે.