J&K આતંકી હુમલામાં ભાવનગરના પિતા-પુત્ર સહિત 3 ગુજરાતીના મોત, આજે કાશ્મીર બંધનું એલાન
અન્ય એક આધેડને ગોળી વાગતા હોસ્પિટલમાં ખસેડાયા, પાલિતાણાથી 20 લોકોનું ગ્રૂપ કાશ્મીરમાં મોરારીબાપુની કથામાં ગયું હતું
જમ્મુ-કાશ્મીરની ઘરતી ઉપર હિન્દુ પર્યટકોને નિશાન બનાવી થયેલા આતંકવાદી હુમલામાં ભાવનગરના કાળિયા ભીલ વિસ્તારમાં રહેતા પિતા- પુત્રના મોત નિપજ્યા છે. જ્યારે ભાવનગરના એક પર્યટકને હાથની કોણીના ભાગે ગોળી વાગી જતાં સારવારાર્થે અનંતનાગની સરકારી મેડીકલ કોલેજમાં ખસેડાયા હતા. આતંકી હુમલામાં ભાવનગરના પર્યટકો પણ ઘાયલ થયાની જાણ થતાં ભાવનગર જિલ્લા કલેક્ટર-પોલીસ તંત્રે તુરંત હરકતમાં આવી ઈજાગ્રસ્ત અને ગુમસુદાના પરિવારજનો તેમજ જમ્મુ કાશ્મીર તંત્રના સતત સંપર્કમાં રહી સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
પ્રાપ્ત થતી માહિતી મુજબ જમ્મુ અને કાશ્મીરના પહેલગામના બૈસરંગ વિસ્તારમાં ગઈકાલે મંગળવારે બપોરના સમયે મોટો આતંકવાદી હુમલો થયો હતો. જેમાં અંધાધૂંધ ગોળીબારીમાં 20થી વધુ પર્યટકોના મોત અને 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યશિતભાઈ પરમાર અને તેના પુત્ર સ્મિત પરમાર નું મોત નિપજ્યું છે.
અને ભાવનગર શહેરના નવા ભરતનગર પોલીસ સ્ટેશન પાછળ આવેલી જીએમડીસી કોલોની, મુખ્યમંત્રી આવાસ યોજનાની શેત્રુંજી રેસીડેન્સી, પહેલા માળે, ઈ-104માં રહેતા વિનુભાઈ ત્રિભુવનભાઈ ડાભી (ઉ.વ.62)ને હાથની કોણીના ભાગેથી ગોળી વાગીને નીકળી જતાં તેમને લોહિયાળ હાલતમાં સારવાર માટે અનંતનાગ ગર્વમેન્ટ મેડીકલ કોલેજમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ અંગે ભાવનગર જિલ્લા કલેક્ટર ડો.મનીષકુમાર બંસલનો સંપર્ક સાધતા તેમણે આતંકવાદી હુમલામાં ભાવનગરના પ્રવાસીને ઈજા થતાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હોવાની ઘટનાને સમર્થન આપતા ઉમેર્યું હતું કે, જમ્મુ-કાશ્મીરના વહીવટી તંત્ર, સ્થાનિક પોલીસ વગેરે સાથે સ્થાનિક તંત્ર સતત સંપર્કમાં છે.
બીજી તરફ ઈજાગ્રસ્ત વિનુભાઈ ડાભીના પરિવારજનોએ જણાવ્યું હતું કે, ભાવનગર અને પાલિતાણાથી સિનિયર સિટીઝન અને યુવાનોનું 20 લોકોનું ગ્રુપ ગત તા.16મી એપ્રિલના રોજ 15 દિવસના પ્રવાસે જવા નીકળ્યું હતું. પ્રવાસીઓ ભાવનગરથી સુરેન્દ્રનગર ગયા હતા અને ત્યાંથી જમ્મુતાવી કટરા ટ્રેનમાં બેસી શ્રીનગર ખાતે આયોજીત મોરારિબાપુની ભાગવદ્ સપ્તાહમાં પહોંચ્યા હતા. ત્યાંથી પહેલગામ ફરવા માટે જતાં અચાનક આતંકી હુમલો થયો હતો. હાલ વિનુભાઈ ડાભીની સ્થિતિ સામાન્ય હોવાનું તથા સ્થાનિક વહીવટી-પોલીસ તંત્ર પણ પરિવારના સતત સંપર્કમાંહોવાનું તેમણે ઉમેર્યું હતું. ઉલ્લેખનિય છે કે, આ યાત્રાએ ગયેલાં યાત્રિકો વૈષ્ણોદેવી, પંજાબ, રાજસ્થાન થઈ 30મીએ ભાવનગર પરત આવવાના હતા.
પહેલગામની આતંકી ઘટનામાં ભાવનગરના વૃદ્ધને ઈજા થઈ છે, તો કાળિયાબીડના શાંતિનગર વિસ્તારમાં રહેતા અને ગ્રુપ સાથે જ જમ્મુ-કાશ્મીર ફરવા ગયેલા યતીશભાઈ સુધીરભાઈ પરમાર (ઉ.વ.આ.42) અને તેમનો પુત્ર સ્મિતભાઈ યતીશભાઈ પરમાર (ઉ.વ.આ.20) આતંકવાદી હુમલા માં મોત નીપજતા ભાવનગરના વાળંદ સમાજમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.
ભાવનગરમાંથી શ્રીનગર પ્રવાસે ગયેલા લોકોની યાદી
ભાવનગરથી જે લોકો શ્રીનગર ગયા છે તેમાં વિનુભાઈ ત્રિભોવનભાઇ ડાભી, લીલાબેન વિનુભાઈ ડાભી, ધીરુભાઈ ડાયાભાઇ બારડ, મંજુલાબેન ધીરુભાઈ બારડ મહાસુખભાઈ રાઠોડ,પુષ્પાબેન મહાસુખભાઈ રાઠોડ, હરેશભાઈ નાનજીભાઈ વાઘેલા, ખુશી હરેશભાઈ વાઘેલા, અસ્મિતાબેન હરેશભાઈ વાઘેલા, યતિષભાઈ સુધીરભાઈ પરમાર, સ્મિત યતિષભાઈ પરમાર, કાજલબેન યતિષભાઈ પરમાર, મંજુબેન હરજીભાઈ નાથાણી, સાર્થક મનોજભાઈ નાથાણી, હરજીભાઈ ભગવાનભાઈ નાથાણી, હર્ષદભાઈ ભગવાનભાઈ નાથાણી, ચંદુભાઈ જેરામભાઈ બારડ ચંદુભાઈ તલસીભાઈ બારડ અને ગીતાબેન ચંદુભાઈ બારડનો સમાવેશ થાય છે. આ તમામ લોકો વાળંદ સમાજના છે.
સુરતના શૈલેષ કળથિયાની જન્મ દિવસ પૂર્વે જ હત્યા
22 એપ્રિલ મંગળવારે બપોરે લગભગ 3 વાગ્યે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પર્યટકો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 26 લોકોનાં મોત થયા છે, જેમાં સુરતના શૈલેષ હિંમતભાઈ કળથિયાનું પણ મોત થયું છે. મૂળ અમરેલી જિલ્લાના વતની અને સુરત બાદ છેલ્લા એક વર્ષથી રહેતા શૈલેશભાઈ તેના પરિવાર ઘોડા પર બેસીને કુદરતના સૌદર્યને નિહાળતા હતા ત્યારે જ અચાનક આંતકવાદીઓએ ધડાધડ ગોળીબાર કરતા શૈલેશભાઈને ગોળી વાગતા મૃત્યુ થયું હતું.
જન્મદિનની ઉજવણી કરવા માટે જ શૈલેષભાઈ કાશ્મીર ગયા હોય એવી શક્યતા છે. જ્યાં જન્મ દિવસના એક દિવસ પહેલાં જ આતંકીઓનો ભોગ બન્યા હતાં.
શૈલેષભાઇ હિંમતભાઇ કળથિયા તેમની પત્ની શીતલ કળથિયા, પુત્રી નીતિ, અને પુત્ર નક્ષત્ર સાથે મુંબઈથી કાશ્મીર ફરવા માટે ગયા હતા. દરમિયાન શ્રીનગરથી પહેલગામ ફરવા ગયા હતા અને વિવિધ જગ્યાએ ફરીને ગતરોજ 22 એપ્રિલે તેઓ ત્યાંના મિની સ્વિટ્ઝરલેન્ડ ગણાતા બૈસરનવેલીમાં પહેલગામથી ઘોડા પર બેસીને કુદરતી સૌદર્યને નિહાળતા હતા. ત્યારે અચાનક આંતકવાદીઓ દ્વારા ધડાધડ ગોળીબાર કરાતા કળથિયા પરિવારના ચાર સભ્યોમાંથી મોભી એવા શૈલેષભાઈને ગોળી વાગતા મૃત્યુ થયું હતું. પરિવારના અન્ય સભ્યો સહીસલામત છે.