ગોંડલનાં પ્રાચીન આશાપુરા મંદીરમાંથી 3.15 લાખની ચોરી
ચોકીદારને દોરડાથી બાંધી દીધો, ઓળખ ન થાય તે માટે સીસીટીવી તોડયા
મંદીરમાંથી પાંચ ચાંદીના છત્તર, દાન પેટીમાંથી રોકડ, પાદુકા સહિતની ચોરી: તપાસનો ધમધમાટ
ગોંડલ નાં 350 વર્ષ જુના રાજવી પરિવાર હસ્તકનાં આશાપુરા માતાજીનાં પુરાતન મંદિરમાં ગત રાત્રીનાં ત્રણ જેટલા તસ્કરોએ મંદિરનાં ચોકીદાર ને તેની ઓરડીમાં પુરી દઇ આશાપુરા મંદિર તથા બાજુમાં આવેલા ગણેશ મંદિર ને નિશાન બનાવી માતાજીનાં આભુષણો તથા રોકડ મળી કુલ રુ.3.15 લાખ ની માલમતાની ચોરી કરી જતા સનસનાટી મચી જવા પામી હતી.બનાવ નાં પગલે જીલ્લા પોલીસ વડા,ડીવાયએસપી,એલસીબી,ડોગ સ્કવોડ સહિત નો કાફલો આશાપુરા મંદિર દોડી જઇ ચોકીદાર ની ફરિયાદ લઇ તપાસનાં ચક્રોગતિમાન કર્યા હતા.
પ્રાપ્ત વિગત મુજબ, ગોંડલમાં રાજાશાહી સમયનાંં આશાપુરા મંદિરમાં ગત રાત્રીનાં એક થી બે વાગ્યા દરમિયાન મંદિર નાં ચોકીદાર યોગેન્દ્રસિહ બલવંતસિહ થાપા ઉ.75 કુતરા ભસતા હોય બેટરી લઈ રાઉન્ડ મારી રહ્યા હતા.તે સમયે અચાનક ધસી આવેલાં શખ્સે યોગેન્દ્રસિહ ને દબોચી તેની ઓરડીમાં ઢસડી જઈ ખુરશી સાથે બાંધી દીધા હતા.યોગેન્દ્રસિહનાં ખિસ્સામાં રહેલું તેમની દિકરીનું મંગળસુત્ર કાઢી લઈ ઓરડીમાં પુરી દઇ બહાર સાંકળ મારી દીધી હતી.
બાદ માં તસ્કરોએ આશાપુરા મંદિરનાં ચારેય દરવાજાનાં તાળા તોડી મંદિર માંથી ચાંદીનાં મોટા છતર 4 નંગ,ચાંદીની પાદુકા 1 નંગ,ચાંદીની થાળી 1 નંગ,ચાંદીની કંકાવટી 1 નંગ,સોનાનાં ચાંદલા 65 નંગ ,સોનાની નથ 1 નંગ ઉપરાંત બાજુમાં આવેલા ગણપતી મંદિર નાં તાળા તોડી ચાંદીનાં મોટા છતર ની ચોરી કરી હતી.વહેલી સવારે પુજારી તથા દર્શનાર્થીઓ મંદિરે આવતા અને તાળા તુટેલાં જોતા કઇક અઘટીત બન્યાનું જાણી ચોકીદાર ની ઓરડી તરફ તપાસ કરતા બારણા ને સાંકળ હોય ખોલી ચોકીદાર યોગેન્દ્રસિહ થાપા ને મુક્ત કરાવ્યાં હતા.
બાદમાં ચોકીદાર યોગેન્દ્રસિહે રાજવી પરિવારને જાણ કરતા કારભારી ભાવેશભાઈ રાધનપરા,મહેન્દ્રસિંહ ઝાલા તથા રાજેન્દ્રસિંહ જાડેજાએ દોડી આવી પોલીસ ને જાણ કરતા ડીવાયએસપી.કે.બી.ઝાલા સહિત પોલીસ કાફલો દોડી ગયો હતો.બનાવનાં પગલે એસપી.જયપાલસિંહ રાઠોડ પણ દોડી આવ્યા હતા.એફએસએલ ટીમ તથા ડોગ સ્કવોડ પણ દોડી ગઈ હતી અને તપાસ નાં ચક્રોગતિમાન કર્યા હતા.મંદિરનાં ચોકીદાર યોગેન્દ્રસિહ થાપા છેલ્લા ઘણા વરસો થી અહી ચોકીદાર તરીકે ફરજ બજાવે છે.તેમનાં જણાવ્યાં મુજબ રાત્રે ત્રણ શખ્સોએ મંદિર પરીશરમાં પ્રવેશ કર્યો હતો.જે પૈકી એક શખ્સે મને ઓરડીમાં બાંધી દઇ પુરી દીધો હતો.બાદ માં ચોરીને અંજામ આપ્યો હતો.તસ્કરોએ ઓળખ ન થાય માટે ચોરી કરતા પહેલા મંદિર પરીશરમાં લગાવાયેલા સીસીટીવી કેમેરામાં તોડફોડ કરી હતી.