વડોદરાથી અમેરિકા સ્ટાઈલથી 250 બાંગ્લાદેશી ડીપોર્ટ કરાયા
અમદાવાદ-સુરત-વડોદરાના ર્ઘીસણખોરોને પરત ધકેલવા એરફોર્સના વિશેષ વિમાનમાં ખાસ ઓપરેશન
કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલાની ઘટના બાદ કેન્દ્ર સરકારે ભારતમાં ગેરકાયદેસર વસવાટ કરતાં પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકોને દેશ નિકાલ કરવા ખાસ ઝુંબેશ શરૂ કરી હતી. ગુજરાતના રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાંથી 1000થી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘુસણખોરો ઝડપાયા બાદ તમામને ડીપોર્ટ કરવાના ઓપરેશન બાંગ્લાદેશીનો પ્રારંભ થયો હોય સરકાર દ્વારા વડોદરા એરપોર્ટથી ખાસ એરફોર્સના પ્લેન મારફતે 250 બાંગ્લાદેશીઓને દેશ નિકાલ કરાયો હતો.
પહલગામ હુમલા બાદ ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીને પકડ્યા હતા. ઘૂસણખોરોને ડિપોર્ટ કરવા મેગા ગુપ્ત ઓપરેશન વડોદરાથી પાર પડાયું હતું. એટીએસની દોરવણી હેઠળ 250થી વધુ બાંગ્લાદેશીને એરફોર્સના વિશેષ પ્લેનમાં બાંગ્લાદેશ ધકેલી દેવાયા હતા. ગુજરાત પોલીસે અમેરિકાની સ્ટાઈલથી ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં 4 બસ ભરી બાંગ્લાદેશીને વડોદરા લવાયાં હતાં. તેમને ચારેય બાજુ દોરડાથી ઘેરી બસમાંથી પ્લેનમાં ચડાવાયાં હતાં. અમેરિકા સ્ટાઈલથી બાંગ્લાદેશીઓને ડીપોર્ટ કરાયા હતાં.
પહલગામ હુમલા બાદ 27 એપ્રિલથી ઘૂસણખોરી કરી આવેલા બાંગ્લાદેશીને પકડવાનું શરૂૂ કર્યું હતું. અમદાવાદમાંથી 200, સુરતમાંથી 100, વડોદરામાં 5 પકડાયા હતા. જેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરાઈ હતી. ગુપ્ત રીતે ગુરુવારે બસમાં એસ્કોર્ટિંગ કરી વિવિધ જિલ્લામાંથી બાંગ્લાદેશીને વડોદરા એરફોર્સ સ્ટેશન લવાયા હતા. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ-તેમનાં બાળકો હતાં. વડોદરા જિલ્લામાં 32 બાંગ્લાદેશી પકડાયાં હતાં. તેમાંથી 30ને અગાઉ પરત મોકલાયાં હતાં. વધુ 2 મહિલાને પીસીઆરમાં અગાઉથી એરપોર્ટ પર લાવ્યા બાદ ડિપોર્ટ કરાઈ હતી.
સુરતથી પોલીસ બે બસ ભરીને ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને વડોદરા લાવી હતી. જોકે અમદાવાદ સહિત અન્ય જિલ્લાથી બસ ન પહોંચતાં, તે સમય સુધી બાંગ્લાદેશીઓને એસ્કોર્ટિંગ સાથે એરપોર્ટ સર્કલથી ન્યૂ વીઆઈપી રોડના ચક્કર મરાવાયા હતા. તમામને ક્યાંય રોડ પર ઊભા રખાયા નહોતા. આખરે બીજી બસ આવી જતાં તેમને એરફોર્સ સ્ટેશનમાં લઈ જવાયા હતા. મેમાં 300થી વધુ ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલાયા હતા. ત્યારે પણ અમદાવાદ, સુરત સહિત જિલ્લામાંથી બસ ભરી તેમને વડોદરા લવાયા હતા અને અહીંથી બાંગ્લાદેશ ધકેલી દેવાયા હતા.
ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીને પરત મોકલવાની કાર્યવાહી લાંબી હોય છે. વિદેશ મંત્રાલય-રાજ્ય સરકારની સૂચનાથી ઓપરેશન કરાઈ રહ્યું છે. અન્યને પરત મોકલવાની કાર્યવાહી કરાઈ રહી છે.