સુરેન્દ્રનગરમાં પડતર પ્રશ્ર્ને 2000 આશા વર્કરોની રેલી
લઘુતમ વેતન સહિતના લાભો નહીં અપાય તો આંદોલનની ચિમકી સાથે કલેક્ટરને રજૂઆત
સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં 5ણ આશાવર્કર બહેનો તેમજ ફેસીટીટેર બહેનોની છેલ્લા ઘણા સમયથી પડતર માંગોનો કોઈ ઉકેલ આવ્યો નથી. જેને ધ્યાને લઈ જીલ્લાભરની આશાવર્કર બહેનોએ રેલી યોજી જિલ્લા કલેક્ટરને તેમજ ડીડીઓને પડતર પ્રશ્નોે અંગે આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી.
સુરેન્દ્રગર અને વઢવાણ શહેરી વિસ્તાર સહિત જિલ્લાભરમાં અંદાજે 1000થી વધુ આશાવર્કર અને આશા ફેસીટીટેર બહેનો છેલ્લા ઘણા વર્ષોથી ફરજ બજાવે છે અને આરોગ્યને લગતી અલગ-અલગ કામગીરી નિષ્ઠાપૂર્વક કરી રહી છે. સરકાર દ્વારા આશાવર્કર બહેનોને લઘુતમ વેતન અને પુરતો પગાર ચુકવવાને બદલે માસીક ફીક્સ પગાર પેટે રૃા.2000 મળવાપાત્ર છે પરંતુ તેની સામે આશાવર્કર બહેનોને માત્ર રૃા.1850 જેટલી નજીવી રકમ માસીક ચુકવવામાં આવી રહી છે. જેના કારણે આશાવર્કર બહેનોને કાળઝાળ મોંઘવારીમાં પરિવારનું ગુજરાન ચલાવવામાં પણ હાલાકી પડી રહી છે. તેમજ વર્ષોથી આરોગ્યનું જોખમ લઈ દિન-રાત કામગીરી કરતા હોવા છતાં સરકાર દ્વારા કાયમી કરવામાં આવ્યા નથી તેમજ ગમે ત્યારે આરોગ્ય વિભાગ ઉપરાંત અન્ય વિભાગને લગતી કામગીરી સોંપી શોષણ કરવામાં આવી રહ્યું છે.
જે મામલે છેલ્લા ઘણા સમયથી આશાવર્કર બહેનો દ્વારા અનેક વખત સ્થાનીક તંત્ર સહિત સરકારને પડતર માંગો જેમ કે ઈન્સેટીવ પ્રથા બંધ કરવી, કાયમી કરવા, વર્ગ-4માં સમાવેશ કરવો, કામીરીનો સમયે બાંધવો, ઓનલાઈન કામગીરી માટે મોબાઈલ આપવો, પેન્શન યોજના, અકસ્માત વિમો, મેટરનીટી લીવ વગેરે પ્રશ્નો અંગે રજુઆતો કરવા છતાં કોઈ ઉકેલ નહિં આવતા મોટીસંખ્યામાં જીલ્લાભરમાંથી ટાગોર બાગગ સાથે એકત્ર થયા હતા અને ત્યાંથી પડતર માંગો અંગે જીલ્લા કલેકટર કચેરી સુધી રેલી યોજી આવેદન પત્ર પાઠવ્યું હતું.
તેમજ ત્યારબાદ જિલ્લા પંચાયત કચેરી ખાતે પણ ડીડીઓને રજુઆત કરી હતી. સરકાર દ્વારા આગામી દિવસોમાં તમામ પડતર માંગો પુરી કરવામાં નહિં આવે તો કામગીરીથી અળગા રહી ધરણા, ઉપવાસ આંદોલન સહિતના આક્રમક કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી હતી તેમજ સરકાર દ્વારા આશાવર્કર બહેનોને કાયમી કરી તે મુજબ માસીક પગાર અને પગાર પંચનો લાભ આપવામાં આવે તેવી પણ માંગ કરી હતી.
આશાવર્કર બહેનોને નજીવા ફિક્સ પગારમાં આરોગ્ય ઉપરાંત અન્ય કામગીરી જેમ કે દવાનો છંટકાવ, ઝાડા ઉલટીના કેસોમાં ડોર ટુ ડોર સર્વે, વગર ટ્રેનીંગે ઓનલાઈન કામગીરી, નિયમ કામગીરીનો સમય માત્ર બે કલાક હોવા છતાં દિવસ દરમિયાન ગમે ત્યારે આશાવર્કરને કામગીરી સોંપવામાં આવે છ, તેવી રાવ ઉઠવા પામી છે.