નવ મહિનાનું ભરણપોષણ નહીં ચૂકવનાર પતિને 180 દિવસની સજા
જામનગરના એક પરિણીતાએ પતિ પાસેથી નવ મહિનાનું ચઢત ભરણપોષણ વસૂલ મેળવવા અદાલતમાં કરેલી અરજીના અંતે અદાલતે ચઢત રકમ ન ચૂકવનાર પતિને 180 દિવસ ની જેલ સજા નો આદેશ કર્યો છે.
જામનગરના ખોજાનાકા પાસે લાલખાણમાં રહેતા રજીયાબેન શેખ ના નિકાહ કાલાવડ નાકા બહાર આવેલી રાજ સોસાયટીમાં રહેતા હનીફ ઈબ્રાહીમ શેખ સાથે દસ વર્ષ પહેલાં થયા પછી આ દંપતી ને પુત્ર ની પ્રાપ્તિ થઈ હતી.
લગ્નગાળા દરમિયાન તેણીને પતિ અવારનવાર શારીરિક તથા માનસિક ત્રાસ આપતો હતો. તે વેળાએ પિયર પરત આવેલા રજીયાબેને બે વખત સમાધાન પણ સ્વીકાર્યું હતું. તેમ છતાં પતિએ ત્રાસ યથાવત રાખતા રજીયાબેને અદાલતમાં ભરણપોષણ માટે કેસ કર્યો હતો. તે કેસ ચાલી જતા ભરણપોષણ મંજૂર કરાયું હતું. આ રકમ નવ મહિના સુધી પતિએ નહીં આપતા ચઢત રકમ રૂૂ.22,500 વસૂલ મેળવવા અદાલતમાં અરજી કરાઈ હતી. અદાલતે ચઢત ભરણપોષણ નહિ ચૂકવનાર પતિ હનીફ ઈબ્રાહીમ શેખ ને 180 દિવસની જેલની સજા ફટકારી છે. અરજદાર તરફથી વકીલ અસરફ જુણેજા તથા નિલય ઠાકર રોકાયા છે.