સરહદી જિલ્લાઓમાં તાત્કાલિક 154 તબીબોને નિમણૂંક
ભારત-પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલા યુધ્ધના પગલે ગુજરાત સરકાર દ્વારા અગમચેતીના પગલા લેવાનું શરૂ કરવામાં આવ્યું છે અને પ્રવર્તમાન સ્થિતિમાં મેડીકલ ઈમરજન્સી માટે આગોતરૂ આયોજન કરી સરહદી જિલ્લામાં 154 તબીબોને તાત્કાલીક ફરજ ઉપર મુકવામાં આવ્યા છે અને 75 જેટલી નવી એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધની સ્થિતિની ગંભીરતાને જોતા ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગે મહત્તપૂર્ણ નિર્ણય કર્યો છે. પાકિસ્તાન દ્વારા ભારતનાં સરહદી વિસ્તારોમાં સતત ડ્રોન-મિસાઇલ હુમલો અને ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે સ્થિતિની ગંભીરતાને જોતા ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગે મહત્તપૂર્ણ નિર્ણય કર્યો છે. વિભાગે તાત્કાલિક ધોરણે 154 જેટલા મેડિકલ ઓફિસરની સરહદી વિસ્તારોમાં પોસ્ટિંગ કરી છે. માહિતી અનુસાર, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં મેડિકલ ઓફિસર મોકલાયા છે. ઉપરાંત, બનાસકાંઠા, પાટણ અને કચ્છ પણ મેડિકલ ઓફિસરની પોસ્ટિંગ કરાઈ છે.
આ તમામ મેડિકલ ઓફિસર સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને જિલ્લા આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટિંગમાં રહેશે. આ તમામ મેડિકલ અધિકારીઓને નવા આદેશ ન થાય ત્યાં સુધી સરહદી જિલ્લાઓમાં નોકરી કરવાની રહેશે. જણાવી દઈએ કે, સતત બે દિવસથી પાકિસ્તાન દ્વારા ભારતનાં સરહદી રાજ્ય ગુજરાત, રાજસ્થાન, પંજાબ, જમ્મુ-કાશ્મીરમાં ગોળીબાર, ડ્રોન અને મિસાઇલથી હુમલો કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભારતીય સેના દ્વારા પણ પાકિસ્તાનનાં તમામ ડ્રોન અને મિસાઇલ હવામાં જ તોડી પાડી જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.આ ઉપરાંત મેડીકલ ઈમરજન્સીમાં ઘવાયેલા લોકોને ત્વરીત સારવાર માટે પહોંચાડી શકાય તે માટે રાજ્ય સરકારે 75 જેટલી નવી એમ્બ્યુલન્સ વસાવી જામનગર, પોરબંદર અને દ્વારકા જિલ્લામાં તાત્કાલીક અસરથી મોકલી આપવામાં આવી છે અને સરહદી વિસ્તારોમાં તૈનાત કરાઈ છે.