રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

યુદ્ધના કારણે હીરા ઉદ્યોગનો 1500 કરોડનો વેપાર ઠપ

12:29 PM Oct 05, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ઇઝરાયેલ-ઇરાનની તંગદિલીની ગુજરાત ઉપર માઠી અસર, મંદીના માહોલમાં વધુ એક ફટકો

છેલ્લા બે વર્ષથી સુરતનો હીરા ઉદ્યોગ તીવ્ર મંદીના ભરડામાં સપડાયો છે. તેમાં પહેલાં યુક્રેન અને રશિયાના યુદ્ધે પાટુ માર્યુ અને હવે ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધની સ્થિતિએ મરણતોલ ફટકો માર્યો છે. માંડ માંડ રહ્યા સહ્યા વેપાર ઉપર શ્વાસ લઈ રહેલા હીરા ઉદ્યોગને આ ઇરાન-ઇઝરાયેલ વચ્ચેના ઘર્ષણને લીધે 1500 કરોડના વેપારને ગુમાવવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. બીજીતરફ ઇઝરાયલ અને તેની આસપાસમાં રહેતા હીરાના વેપારીઓ પણ સરકારની માર્ગદર્શિકાના આધારે સ્વદેશ પરત ફરી રહ્યાં છે.

સુરત વિશ્વમાં 100માંથી 90 કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ કરે છે. સુરતનો હીરા ઉદ્યોગ તેના 18 ટકાથી વધુ હીરા ઇઝરાયલમાં નિકાસ કરે છે. આવી સ્થિતિમાં જ્યારે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે ત્યારે સંભવ છે કે, વેપાર પર તેની ખાસી અસર પડશે. એક તરફ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ અને બીજી તરફ બજારને ધ્યાનમાં રાખીને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માની રહ્યા છે કે, દિવાળી પછી પણ તેની ઘેરી અસર જોવા મળી શકે છે. ઈઝરાયલમાં રહેતા સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ ત્યાંની સ્થિતિ જોઈને અને ભારત સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને સ્વદેશ પરત ફરી રહ્યા છે. હીરા ઉદ્યોગની સાથે સંકળાયેલા અતુલ શાહ કહે છે કે, હાલ હીરા ઉદ્યોગમાં બે વર્ષથી મંદીની નાગચૂડમાં ફસાયો છે. હજી યુક્રેન-રશિયાના કમઠાણની અસર ચાલુ જ છે, ત્યારે બીજી બાજુ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સર્જાયેલી પરિસ્થિતિના કારણે સ્થિતિ વધારે કપરી બનશે. ઈઝરાયલથી સુરતના હીરા વેપારીઓ પણ પરત આવવા માંડ્યા છે. આ યુદ્ધની સીધી અસર 1500 કરોડ રૂૂપિયાના હીરા વેપાર ઉપર પડે તેમ છે.

સુરતથી ઈઝરાયલમાં વર્ષે 18 ટકાથી વધુ ડાયમંડની નિકાસ થાય છે સુરતન હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓને ઈઝરાયલની આર્થિક રાજધાની તેલઅવીવમાં ઇરાને કરેલા હુમલાને કારણે ચિંતિત છે. સુરતથી ઈઝરાયલ સાથે અબજો રૂૂપિયાનો ડાયમંડનો વેપાર થાય છે પરંતુ, છેલ્લા બે-ત્રણ દિવસમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે જે સ્થિતિ સર્જાઈ છે તેના કારણે હાલ તો વેપાર ઠપ્પ થઈ જ ગયો છે. સુરતના હીરા ઉદ્યોગને ખબર નથી કે, આગામી દિવસોમાં આ સ્થિતિ ક્યાં સુધી રહેશે? કારખાનેદારો અને રત્ન કલાકારો માટે દિવાળી પછીની સ્થિતિ ગંભીર બને તેવું નકારી શકાય તેમ નથી.

ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે ચોક્કસ કહી શકું કે, ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઉપર તેની ખૂબ મોટી નેગેટીવ ઇમ્પેક્ટ પડશે કારણ કે, વર્ષ 2023માં આપણી ઇઝરાયલમાં ડાયમંડની નિકાસ 18.4 ટકા હતી. ઇઝરાયલમાં 1300થી 1500 કરોડના હીરાની નિકાસ થાય છે પણ ધીમે-ધીમે જે પ્રમાણે યુદ્ધની પરિસ્થિતિ આકરી થઈ રહી છે તે ઝડપથી સુધરે તેવું નથી દેખાતુ. આ યુદ્ધની સ્થિતિમાં અમેરિકાની પણ એન્ટ્રી થઈ રહી છે.

હીરામાં દિવાળી વેકેશન લાંબુ પણ હોઈ શકે
હીરા ઉદ્યોગ અગ્રણી દિનેશ નાવડિયા કહે છે કે, આ પરિસ્થિતિની અંદર હું ચોક્કસ માનું છું કે, દિવાળી સુધી કારખાનેદારો, રત્ન કલાકારોને કામ મળી રહે તે માટે સતત પ્રયત્નો અમે કરીશું પરંતુ, દિવાળી પછી જો યુદ્ધ લાંબુ ખેંચાય તો સ્થિતિ મુશ્કેલ બનશે. દિવાળી પછીનું વેકેશન કેટલુ લાંબુ હોઈ શકે.

મધ્ય-પૂર્વમાથી વેપારી પરત આવવા માંડ્યા
ઇઝરાયલ સાથેને વેપાર છેલ્લા ચારેક દિવસથી તો સંપૂર્ણ ઠપ્પ છે. બીજીતરફ ઇરાન-ઇઝરાયેલ યુદ્ધને લીધે ભારત સરકારે જે માર્ગદર્શિકા જાહેર કરી છે, તે મુજબ વેપારીઓ ભારત પરત આવી રહ્યા છે. ઇરાકમાં હોય કે ઇઝરાયલમાં હોય ધીમે-ધીમે ભારતના વેપારીઓ સ્વદેશ આવી રહ્યા છે. તેલઅવિવ જેવા શહેર ઉપર તીવ્ર મિસાઈલ હુમલા થતા હોય તો ત્યાં આવી પરિસ્થિતિમાં વેપાર ન ચાલી શકે તે સમજીને લોકો ભારત પાછા ફરી રહ્યાં છે, તેવું નાવડિયાએ ઉમેર્યુ હતું.

ડાયમંડ બુર્સ ચાલુ કરવા મરણિયા પ્રયાસો નાના વેપારીને સમાવાયા, LBDના સોદા કરાશે

ખૂબ જોરશોરથી ગાજેલા સુરતના ડાયમંડ બુર્સ પ્રોજેક્ટ હાલ બિનવપરાશી સ્થિતિમાં પડ્યો છે. વિશ્વના સૌથી મોટા કમર્શિયલ કેમ્પસ તરીકે જેને ગણાવવામાં આવ્યું હતું તે, સુરત ડાયમંડ બુર્સના ઉદ્દઘાટનને લાંબો સમય વીતી ગયા બાદ હજુ સુધી બુર્સમાં હીરાનો વેપાર શરૂૂ થયો નથી. ભવ્ય ઈમારત ભૂતિયા બની ગઈ હોય તેવો ભાસ થવા લાગ્યો છે. સુરત ડાયમંડ બુર્સ નિષ્ફળ રહ્યું હોવાના દાવા થવા લાગ્યા છે ત્યારે સુરત ડાયમંડ બુર્સની કમિટી બુર્સને ધમધમતું કરવા મરણિયા પ્રયાસ કરી રહી છે. આજે ફરી એકવાર સુરત ડાયમંડ બુર્સના લાલજી પટેલે એક વીડિયો જાહેર કરીને દશેરાના દિવસથી સુરતના મુખ્ય હીરાબજારના 40 વેપારીઓ બુર્સમાંથી હીરાની ખરીદી કરશે, તેવી જાહેરાત કરી છે. નાના વેપારીઓ માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 150 જેટલી કેબિન બનાવાઈ છે, જે વેપારીઓને ભાડે આપવામાં આવશે. આ ઉપરાંત એક મોટા હોલમાં 500 ટેબલ મુકવામાં આવ્યા છે. આ જગ્યાએથી નાના વેપારી, દલાલો પણ સોદા કરી શકશે. આ કેમ્પસમાંથી લેબગ્રોન ડાયમંડનો પણ વેપાર થાય તે માટે બુર્સ તૈયાર કરનારા હીરાઉદ્યોગના મંધાતાઓએ મન બનાવ્યું છે. લેબગ્રોન ડાયમંડનો વેપાર પણ બુર્સમાં શરૂૂ થાય તે માટે આજેે તા. 5 ઓક્ટોબરના રોજ લેબગ્રોન ડાયમંડ એસોસિએશનની આગેવાનીમાં એક મિટિંગનું આયોજન કરાયું છે, તેમની જરૂૂરિયાત અનુસાર બુર્સમાં વ્યવસ્થા ગોઠવવામાં આવશે, તેવું બુર્સ કમિટી વતી લાલજી પટેલે કહ્યું હતું.

Tags :
diamond industrygujaratgujarat news
Advertisement
Next Article
Advertisement