ઉછીના આપેલા 15 લાખ બે મિત્રોએ ન આપતા રત્નકલાકારનો ગળેફાંસો ખાઇ આપઘાત
મવડીના રામધણની સામે આસમાન સીટીમાં રહેતા રત્ન કલાકારે આર્થિકભીંસથી કંટાળી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે રાજકોટ તાલુકા પોલીસના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આપી હતી.
જેમાં બે મિત્રોના નામનો ઉલ્લેખ છે અને તેઓ પાસેથી રૂા.15 લાખ લેવાના હોય જે ન આપતા આ પગલુ ભરી લીધુ હતું. આ અંગે પોલીસે કાર્યવાહી કરી હતી. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, આસમાન સીટીમાં બી વિંગમાં ફલેટ નં.203માં રહેતા હરેશભાઇ ગીરધરભાઇ લીંબાસીયા (ઉ.વ.45) નામના આધેડે તેમના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતાં રાજકોટ તાલુકા પોલીસ મથકના નારણભાઇ સિરોડીયા અને સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો અને ત્યાંથી મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટસ માટે સિવિલે ખસેડયો હતો. આધેડને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેઓ મુળ અમરેલી છે. તેઓ હિરા ઘસવાનું કામ કરી પરિવારને મદદરૂપ થતા હતાં.
પોલીસે તપાસ કરતાં ઘરમાંથી એક ચીઠઠી મળી આવી હતી જેમાં લખ્યું હતું કે, પોતે રૂા.15 લાખ બે મિત્રોને ઉછીના આપ્પા હતા જે પૈસા તે લોકો પરત આપતા નથી અને હાલ ઘરની પરિસ્થિતિ બરાબર નથી જેથી હું આ પગલુ ભરું છું. હાલ આ સ્પુસાઇડ નોટ પોલીસે જપ્ત કરી બંન્ને શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.