વીંછિયાના ભોંયરા ગામે બંધ મકાનમાંથી સગીરાની ગળેફાંસો ખાધેલી લાશ મળી
હત્યાની શંકાએ મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું
વીંછીયા તાલુકાના ભોંયરા ગામે રહેતી સેજલબેન માત્રાભાઈ બાંભવા (ઉ.વ.14) નામની સગીરાનો તેના મકાનની બાજુમાં અવાવરૂૂ બંધ હાલતમાં પડેલા મકાનમાંથી ગળેફાંસો ખાધેલી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવમાં સગીરાનો મૃતદેહ બંધ મકાનમાં લટકતો હોવાની ગામ લોકોને જાણ થતાં તાત્કાલિક વીંછીયા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી વીંછીયા પોલીસ મથકના દિલીપભાઈ માલકીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને લાશને વીંછીયાની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં સગીરાનો મૃતદેહ જ્યાં લટકતો હતો ત્યાં મૃતકના બન્ને પગ જમીન સાથે અડી ગયેલા હોય તેવું નજરે પડ્યું હતું. જેના કારણે પોલીસને અનેક શંકાઓ સામે આવી હતી.
વધુમાં પોલીસ તપાસ દરમિયાન મૃતદેહની બાજુમાં પુરાવાનો નાશ કરવા માટે સાવરણીથી વાળવામાં પણ આવેલું હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવમાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકના પરિવારને બોલાવી નિવેદનો લઈ હાલ એડીનો ગુન્હો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે. આ બનાવમાં સગીરાની હત્યા કરાઈ છે કે આત્મહત્યા તેનું સાચું કારણ પી.એમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.