ખેલકૂદ, યુવા-સાંસ્કૃતિક વિભાગને 1093 કરોડ: નરસિંહ મહેતા સંશોધન કેન્દ્ર માટે 10 કરોડ
ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઇ મેડલ મેળવી શકે તે માટે તેઓને ખાસ તાલીમ આપવાનું અને રમતગમત સંકુલોને આંતરરાષ્ટ્રીય કક્ષાના ધારા ધોરણ સાથે વિકાસ કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે.
રાજ્યના વિવિધ જીલ્લાઓમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ અર્થે ₹125 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ગાંધીનગર ખાતે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું નિર્માણ કરવા ₹33 કરોડની ફાળવણી કરાઇ છે.
પુરાતન સ્થળોને પર્યટક સ્થળ તરીકે વિકસાવવા અને સાંસ્કૃતિક વારસાના જતનના ઉદ્દેશથી 12 રક્ષિત સ્મારકોના સંરક્ષણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને બીજા 4 નવા સંગ્રહાલયો નિર્માણાધીન છે. તેવી જ રીતે ગ્રંથાલયો માટે ₹138 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 71 તાલુકા મથકોએ નવા ગ્રંથાલયો શરૂૂ કરવા ₹16 કરોડની રકમ ફાળવવામાં આવી છે.
ગ્રંથાલય ભવનોના તબક્કાવાર નિર્માણ માટે આગામી વર્ષમાં 7 જિલ્લા ગ્રંથાલયો અને 15 તાલુકા ગ્રંથાલયો માટે ₹14 કરોડની, 53 આદિજાતિ વિસ્તારના ગ્રંથાલયોમાં ઇ-લાયબ્રેરીની સુવિધાઓ વિકસાવવા માટે આયોજન. તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ સાહિત્ય અકાદમી માટે ₹208 કરોડની જોગવાઇ કરાવે છે. રાજ્યના લોકમેળાઓ પુન: જીવિત કરવા તથા કલા મહોત્સવના આયોજન માટે ₹17 કરોડની જોગવાઇ થઇ છે.
દેશ-વિદેશનાં લોકો નરસિંહ મહેતા અને અન્ય મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને જાણી અને માણી શકે તે માટે નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર માટે ₹10 કરોડની જોગવાઇ થઇ છે.