પાટણવાવમાં લગ્નની ખરીદી માટે રાખેલ રોકડ અને દાગીના મળી 1.95 લાખની ચોરી
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે ખેડુતના મકાનમાંથી તસ્કરો 50 હજારની રોકડ અને 4.50 તોલા સોનાના દાગીના અને 450 ગ્રામ ચાંદીના દાગીના મળી રૂા. 1.95 લાખની માલમત્તા ઉઠાવી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે ચોરીમાં કોઈ જાણભેદુનો હાથ હોવાની શંકા પરથી પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ ધોરાજીના પાટણવાવ ગામે બજરંગ સોસાયટીમાં રહેતા અને ખેતમજુરી કરતા પ્રવિણભાઈ સાજણભાઈ રાણવા (ઉ.વ.50)એ પાટણવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીને બે પુત્રી છે. જેમાં મોટો પુત્ર રાજ રાજકોટ પ્રાઈવેટ નોકરી કરે છે અને તેના લગ્ન હોય ઘરે લગ્નની તૈયારી ચાલતી હતી.
લગ્નની ખરીદી માટે પટારામાં રૂા. 50 હજાર રોકડા અને 4.50 તોલા સોનાના દાગીના અને 450 ગ્રામ ચાંદીના દાગીના રાખ્યા હતાં જે છેલ્લા 18 દિવસ દરમિયાન ઘરમાં કોઈ અજાણ્યા શખ્સે પ્રવેશ કરી પટારાના તાળા ખોલી રોકડ, દાગીના મળી રૂા. 1.95 લાખની માલમતા ઉઠાવી ગયા હતાં.આ બનાવની ફરિયાદી અને તેમના પરિવારજનોને જાણ થતાં પ્રથમ ઘરમેળે તપાસ કર્યા બાદ અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પાટણવાવ પોલીસે જાણભેદુનો હાથ હોવાની શંકાએ તે દિશામાં તપાસ હાથ ધરી છે.