15 જુલાઇ સુધીમાં સરકારી કર્મચારીઓએ મિલકત જાહેર કરવી પડશે, પરિપત્ર જાહેર
બે મહિના પહેલા સરકારે એક મહત્ત્વની જાહેરાત કરી હતી કે ગાંધીનગર રાજ્ય સરકારના કર્મચારીઓએ પોતાની મિલકત જાહેર કરવી પડશે. ત્યારે હવે આ અંગે વધુ એક નોટિસ સામે આવી છે. સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે કે સરકારી કર્મચારીઓને સ્થાવર મિલકત જાહેર કરવી પડશે, એ માટેની સમય મર્યાદામાં વધારો કરીને મુદ્દત 15 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે.
સરકારે જાહેરાત કરી હતી કે હવેથી ક્લાસ 3ના કર્મચારીઓએ પણ પોતાની મિલકતો અને સ્થાવર મિલકત જાહેર કરવી પડશે. સામાન્ય વહીવટ વિભાગે જાહેર કરેલા પરિપત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ક્લાસ 3ના કરાર આધારિત કર્મચારીઓએ પણ પોતાની સ્થાવર મિલકતો અને મિલકત દર વર્ષે જાહેર કરવી પડશે. ત્યારે હવે સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર જાહેર કરીને જણાવ્યું છે કે સ્થાવર મિલકત જાહેર કરવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. કર્મચારીઓ માટે મિલકત જાહેર કરવાની મુદત 15 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. સાથે જ જણાવ્યું છે કે વર્ગ-3ના કર્મચારીઓને 2023ના વર્ષની જ માહિતી આપવાની રહેશે. સાથે જ ફિક્સપગાર હેઠળના કર્મચારીઓને પણ વિગતો આપવા સૂચના આપવામાં આવી છે.
અગાઉ સરકારના વર્ગ 3ના સરકારી કર્મચારીઓએ 15 મે સુધીમાં પોતાની તમામ મિલકતો અને સ્થાવર મિલકતની વિગતો ઓનલાઇન ભરવાની હતી. જે વધારીને 15 જુલાઈ કરી દીધી છે. માહિતી અનુસાર, રાજ્ય સરકારમાં ક્લાસ 1 અને 2ના અધિકારીઓએ દર વર્ષે પોતાની મિલકત જાહેર કરવી પડે છે. જો કોઈ કર્મચારી આ મહિતી આપી શકતો નથી તો સરકાર પગાર અટકાવી શકે છે. આ સિવાય પણ સરકાર યોગ્ય પગલાં લઈ શકે છે. પગાર સિવાયની બેનામી આવક પર સકંજો કસવા માટે સરકાર દ્વારા આ પગલાં લેવામાં આવે છે, ત્યારે હવે ક્લાસ 1થી 3 ના અધિકારીઓએ તેમની સ્થાવર મિલકત જાહેર કરવી પડશે અને વર્ષ દરમિયાન એમાં થયેલા ફેરફારોની પણ જાણકારી આપવી પડશે.