દ્વારકાધીશ જગત મંદિરે દબદબાભેર ઉજવાયો ગોપાલજીનો નાવ મનોરથ
દેવભૂમિ દ્વારકામાં ગઇકાલે સાંજે દ્વારકાધિશ જગતમંદિરે જલયાત્રા ઉત્સવ નિમિત્તે ભાવિકોને મહેરામણ ઊમટી પડયો હતો. સાંજે ઠાકોરજીનાં ઉત્થાપન કરાવ્યા બાદ નીજ મંદિરના સભા મંડપમાં પૌરાણિક કૂંડ (હોજ)માં શાસ્ત્રોક વિધીથી જલ ભરી ઠાકોરજીનાં બાલ સ્વરૂપ ગોપાલાજીને નાવમાં બેસાડી પુજારી પરીવાર દ્વારા જલયાત્રા નાવમનોરથ ઉજવાયો ત્યારે ભાવિકોએ જય દ્વારકાધિશના નારાથી વાતાવરણ ગૂંજાવ્યું હતું. નાવ મનોરથમાં જોડાવા બપોરથી જ ભાવિકોનો ઘસારો દ્વારકાધિશ મંદિર ખાતે જોવા મળ્યો હતો. દર્શનાર્થીઓએ કહ્યુ કે, બાલ સ્વરૂપ ગોપાલજીના નાવ મનોરથમાં જોડાઇને દર્શનનો લાભ લેવો તે એક અમૂલ્ય લ્હાવો છે. જે ભાવિકોને નશીબમાં હોય તેવા ભાવિકોજ નાવમનોરથમાં જોડાય છે અને દર્શનની ધન્યતા અનુભવે છે. નાવમનોરથ દરમિયાન શ્રીજીને શણગારી નાવમાં બેસાડતા ભાવિકોએ દર્શન માટે ભારે ઉત્સુક્તા દર્શાવી હતી. શ્રીજીના દર્શનનો સેંકડો ભાવિકોએ લાભ લીધો હોવાનું જોવા મળ્યુ હતું.