For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોમનાથ સંસ્કૃત યુનિ. અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી વચ્ચે હિન્દુ સ્ટડીઝ પર MOU અંગે કરાઇ ચર્ચા

12:12 PM Dec 15, 2023 IST | Sejal barot
સોમનાથ સંસ્કૃત યુનિ  અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી વચ્ચે હિન્દુ સ્ટડીઝ પર mou અંગે કરાઇ ચર્ચા

વેરાવળ સ્થિત સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને આધ્યાત્મિક શિક્ષણ સાથે ઉત્તમ ચરિત્ર ઘડનાર શિક્ષણ પ્રાપ્ત થઈ રહ્યું છે. શિક્ષણ ઉપરાંત અન્ય ક્ષેત્રમાં પણ આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વિશિષ્ટ પ્રદાન આપ્યું છે. તેના અનુસંધાનમાં ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ (OCHS)ના ડાયરેક્ટર શૌનક રિશી દાસે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી વચ્ચે હિન્દુ સ્ટડીઝ પર એમઓયુની શક્યતાઓ અંગે ચર્ચા થઈ હતી.
ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ (OCHS)ના ડિરેક્ટર શ્રી શૌનક રિશી દાસે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રો.સુકાન્તકુમાર સેનાપતિ સાથે ફળદાયી વાર્તાલાપ કર્યો હતો અને બન્ને મહાનુભાવો વચ્ચે શિક્ષણથી લઈ હિંદુ ધર્મના તત્વજ્ઞાન તેમજ આધુનિક શિક્ષણ પદ્ધતિ વિશે ઊંડાણપૂર્વક ચર્ચાઓ થઈ હતી. આ તકે, સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટી અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી વચ્ચે હિન્દુ સ્ટડીઝ પર એમઓયુ અંગે વિવિધ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે ડિરેક્ટરશ્રીએ હિન્દુ સંસ્કૃતિ અને શિક્ષણ પર વાર્તાલાપ પણ કર્યો હતો.
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનું પરિસર, શિક્ષણ પદ્ધતિ અને મેનેજમેન્ટ નિહાળી (OCHS)ના ડિરેક્ટર શ્રી શૌનક રિશી દાસે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, અહીંનું શિક્ષણ જોઈ એવી અનુભૂતિ થઈ રહી છે કે જાણે ભારતીય પરંપરા પ્રમાણે જૂનું વૈદિક શિક્ષણ આધુનિક ઢબે અપાઇ રહ્યું છે. જે ખૂબ જ સારી વાત છે. ઉપરાંત તેમણે સોમનાથ મંદિરમાં દર્શન કરીને આદ્યાત્મનો પારાવાર અનુભવ થયો હોવાનું પણ ઉમેર્યુ હતું.
જ્યારે ડિરેક્ટર સાથે પધારેલા ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીની અને સાધ્વી શ્રી ભાવિષાજીએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સામાજીક, આર્થિક સહિત સાંસ્કૃતિક ક્ષેત્રે પણ ઉદય થઈ રહ્યો છે. પશ્ચિમના આધુનિક મૂલ્યોના પ્રભાવ સામે સાંસ્કૃતિક ક્ષેત્રે ઉદય આજના સમયની માંગ છે. જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ઉત્તમ કામ થઈ રહ્યું છે.
આ તકે, યોગી વિદ્યાપીઠ આણંદના ચીફ એક્ઝિક્યૂટીવ ઓફિસર ડો. એન.સી.પટેલ, સંસ્કૃત યુનિ.કુલસચિવ દશરથ જાદવ, પ્રિન્સિપલ નરેન્દ્ર પંડ્યા, રિસર્ચ ઓફિસર કાર્તિક પંડ્યા સહિત પ્રોફેસર્સ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement