સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા ઉત્તરાખંડના રાજ્યપાલ
ઉત્તરાખંડના રાજ્યપાલ ગુરમિત સિંઘે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમા પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી. મહાદેવના દર્શન કરી રાજ્યપાલએ સોમેશ્વર મહાપૂજા કરી હતી. રાજ્યપાલએ દેવાધિદેવના ચરણોમાં લોકસુખાકારી તેમજ જનકલ્યાણ માટેની પ્રાર્થના પણ કરી હતી.
સૌ પ્રથમ વીઆઈપી સર્કિટ હાઉસ સોમનાથ ખાતે રાજ્યપાલનું ગાર્ડ ઓફ ઑનર આપીને ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સોમનાથ મંદિરના પંડિતોએ શ્ર્લોકોચ્ચાર વચ્ચે રાજ્યપાલના ભાલ પર ચંદનનો લેપ કરી મંદિરના પ્રાંગણમાં આવકાર્યા હતાં. જે પછી રાજયપાલએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને દેવાધિદેવ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક કરીને સોમેશ્વર પૂજા-અર્ચના કરી હતી. સોમનાથ મંદિરના આદ્યાત્મિકભર્યા વાતાવરણમાં ભક્તિવિભોર બની રાજ્યપાલએ ભક્તિભાવથી પ્રદક્ષિણા કરી હતી. આ દરમ્યાન સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર દ્વારા બાણસ્તંભ સહિત સોમનાથની ઐતિહાસિક ધરોહરની તલસ્પર્શી જાણકારી આપવામાં આવી હતી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાજ્યપાલને ભગવાન સોમનાથની તસવીર સહિત પ્રસાદભેટ આપવામાં આવી હતી. રાજયપાલની સોમનાથ મુલાકાત દરમ્યાન સોમનાથ ટ્રસ્ટના એક્ઝીક્યૂટિવ ઓફિસર દિલીપ ચાવડા, ઈન્ચાર્જ જનરલ મેનેજર અજય દૂબે, નાયબ ક્લેકટર ભૂમિકાબેન વાટલિયા, પલ્લવીબહેન બારૈયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.