ઈન્દોર-અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: ટ્રકમાં કાર ઘૂસી જતાં 8ના મોત
હાલ દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધોર થઇ રહ્યો છે ત્યારે ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર વધુ એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. એક કાર ઈન્દોર-અમદાવાદ ફોર લેન પર પાર્ક કરેલી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. જેના કારણે કારમાં સવાર 8 લોકોના મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિને ઈજા થઈ છે. મૃતકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. મૃતદેહોને બેટમા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.
દુર્ઘટના બુધવારે રાત્રે લગભગ 10.30 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત બાદ આસપાસના લોકોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. માહિતી મળતાં જ એમ્બ્યુલન્સની સાથે પોલીસ અને પ્રશાસનની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.મળતી માહિતી મુજબ, કારમાં સવાર લોકો અલીરાજપુરના બોરી ગામમાં કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે, બુધવારે રાત્રે બે વાહનો વચ્ચે થયેલી ટક્કરમાં આઠ લોકોના ઘટનાસ્થળે મોત થયા, જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. મધ્ય પ્રદેશ પોલીસે ઘટનાની જાણકારી આપતા જણાવ્યું કે, "ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર ઘાટાબિલ્લોદ નજીકે એક જીપની અન્ય એક વાહન સાથે ટક્કર થઈ હતી. એસએસપી રૂપેશ કુમાર દ્વિવેદી જણાવ્યું કે, ઘટનામાં આઠ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત છે."