ગેમ ઝોન અગ્નિકાંડ: 15મીએ સીપીને ઘેરાવ, 25મીએ રાજકોટ બંધ
પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસે શરૂ કરેલા ત્રણ દિવસના ઉપવાસ પૂર્ણ, આક્રમક લડતની જાહેરાત
આ મુદ્દે કયારેય સમાધાન નહીં, જીવનના અંત સુધી લડત આપીશ; જીજ્ઞેશ મેવાણી
રાજકોટમાં ગત તારીખ 25 મેના રોજ નાનામવામાં આવેલ TRP ગેમઝોનમાં લાગેલી આગમાં 27 લોકોના મોત થયા બાદ યોગ્ય કાર્યવાહી નહીં થયાનું જણાવીને ન્યાયની માગણી સાથે શહેરના ત્રિકોણબાગ ખાતે છાવણી નાખીને 72 કલાકનું ઉપવાસ આંદોલન કરનાર કોંગ્રેસે ગઈકાલે ઉપવાસ પૂર્ણ કર્યા હતા. આ પછી જણાવ્યું હતું કે, સરકાર કડક પગલા લઈ શકી નથી. અનેક લોકોને હાલ છાવરવામાં આવી રહ્યા છે. લડત ચાલુ રાખવા નિર્ધાર કર્યો છે. આગામી તારીખ 15ના પોલીસ કમિશનરને ઘેરાવ કરાશે અને તારીખ 25એ દૂર્ઘટનાની પ્રથમ પુણ્યતિથિએ રાજકોટ બંધનું એલાન આપવામાં આવશે.
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની યાદી મુજબ રાજકોટ ખાતે બનેલા ભયાનક અગ્નિકાંડમાં અનેક નિર્દોષની જીંદગી હોમાઈ ગઈ છે. અગાઉના અગ્નિકાંડ અને ગોઝારી ઘટનાઓમાં પીડિતોને ન્યાય મળેલ ન હોવાથી રાજકોટમાં ટીઆરપી ગેમ્સ ઝોનમાં પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ માગણીઓ સબબ રાજકોટ ખાતેના ઐતિહાસિક ત્રિકોણબાગ ખાતે તારીખ 7 8 અને 9 ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો ધરણાના અંતિમ દિવસે પારણા કરી લેવામાં આવતા ન્યાય માટે ની લડત ચાલુ રાખવામાં આવી છે અને સરકાર ની સામે હવે આક્રમક લડાઈ લડવાનો નિર્ધાર કરવામાં આવેલ છે. ધરણના અંતિમ દિવસે સેવા દરમિયાન રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, પાલભાઈ આંબલીયા દ્વારા ઉપવાસી છાવણીમાં જાહેરાત કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં ન્યાયની લડત ચાલુ રાખવામાં આવશે અને દરેક વોર્ડમાં ન્યાયની લડત લઈ જવાશે તારીખ 15 ના પોલીસ કમિશનરને ઘેરાવ તારીખ 25 ના અગ્નિકાંડના મૃતકોની પ્રથમ માસિક પુણ્યતિથિ હોય જે પગલે રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
ધરણાના અંતિમ દિવસે ત્રણ દિવસ ઉપવાસ કરનારા લાલજીભાઈ દેસાઈ જીગ્નેશભાઈ મેવાણી ગાયત્રીબા વાઘેલા મહેશભાઈ રાજપુત અને દીપ્તિબેન સોલંકી ને પીડિત પરિવારોના હસ્તે પારણા કરાવ્યા હતા. ત્રણેક દિવસમાં જુનાગઢ જામનગર, અમદાવાદ સહિતના જિલ્લાઓમાંથી આગેવાનોએ ઉપવાસી છાવણીની મુલાકાત લીધી હતી. અજોડ કરણી સેનાના રાજકોટના પ્રમુખ ક્રિપાલસિંહ ઝાલા, અક્ષીતસિહ જાડેજા, નવલસિંહ જાડેજા, તીર્થરાજ સિંહ ગોહિલ બ્રહ્મસેનાના અધ્યક્ષ દર્શિતભાઈ જાની, રુદ્ર શક્તિ મહિલા મંડળના માયાબા જાડેજા, ભાર્ગવીબા ગોહિલ, વિલાસબા સોઢા ગુજરાત ખેડૂત એસોસિયેશનના પ્રમુખ ભરતસિંહ ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સીટમાં સુભાષ ત્રિવેદીની નિમણૂક એટલે પિડીતો સાથે મજાક: જીજ્ઞેશ મેવાણી
ગુજરાત મિરરની મુલાકાતે આવેલા જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે રાજકોટમાં અગ્નિકાંડમાં સીટની રચના કરવામાં આવેલ છે. તેના અધ્યક્ષ તરીકે સુભાષ ત્રિવેદીને જવાબદારી સોંપવામાં આવી છે જે પિડીતો સાથે મજાક સમાન છે. અગાઉ પણ સુભાષ ત્રિવેદી સુરતની તક્ષશિલા કાંડ, મોરબી ઝુલતા પુલ કાંડ, સહીત પાંચ જેટલા ગંભીર બનાવમાં સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ સીટની રચના કરવામાં આવેલ છે. પરંતુ આજ દિન સુધી એક પણ બનાવમાં પિડીતોને ન્યાય મળ્યો નથી. દરેક બનાવમાં માત્ર નાની માછલીઓને ફસાવવામાં આવી છે મગરમચ્છો તમામ બહાર ફરી રહ્યા છે. રાજકોટમાં અગ્નિકાંડ પ્રકરણમાં સરકાર દ્વારા નિર્લિપ્તરાય, સુધા પાંડે અને સુજાતા મજમુદારને તપાસ સોંપવામાં આવશે તો પિડીતોને જરૂરી ન્યાય મળશે.