લેઉવા પટેલ સમાજની પત્રિકા ફરતી કરનાર ચાર ઝડપાયા
બે સમાજ વચ્ચે વૈમનસ્ય ઊભુ કરી મતભેદો ઊભા થાય તેવા લખાણો લખી પત્રિકા વહેંચી: ભાજપ શહેર પ્રમુખે પોલીસ કમિશનરને રજૂઆત કર્યા બાદ મોડીરાત્રે ગુનો નોંધાયો
રાજકોટ લોકસભાની ચૂંટણીમાં પ્રચારયુધ્ધ પરાકાસ્ટાએ પહોંચ્યું છે એક તરફ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ આંદોલન ચલાવી રહ્યો છે અને ઠેર ઠેર જાહેરસભાનો વિરોધ કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ કડવા પટેલ સમાજ અને લેઉવા પટેલ સમાજ વચ્ચે વૈમનસ્ય ઉભુ કરવાના ઈરાદે અમુક શખ્સોએ જાગો લેઉવા પટેલ સમાજ જાગો તેવી પત્રિકા ફરતી કરતા ભારે ચકચાર ફેલાઈ જવા પામી છે. આ મુદ્દે ભાજપના નેતાઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી જેના પગલે પત્રિકા વહેતી કરનાર ચાર શખ્સો સામે મોડીરાતે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.
રાજકોટ લોકસભાની બેઠકમાં ભાજપના ઉમેદવારના નામની જાહેરાત થઈ ત્યારથી જ વિવાદ ચાલી રહ્યો છે. જે સમવાનો નામ લેતું નથી ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ એક જાહેર સભામાં ક્ષત્રિય સમાજની બહેન દિકરીઓ પર અભદ્ર ટિપ્પણી કરી હતી જેના મુદ્દે ભારે વિરોધ સાથે ક્ષત્રિય સમાજ આંદોલન ચલાવી રહ્યું છે.
બીજીબાજુ રાજકોટ લોકસભા બેઠકમાં કડવા પટેલ સમાજ અને લેઉવા પટેલ સમાજ વચ્ચે વૈમનસ્ય ઉભુ થાય તેવા ઈરાદે અમુક લેભાગુ તત્વએ જયસરદાર, જય મા ખોડલ, જાગો લેઉવા પટેલ જાગોના શિર્ષક હેઠળ પત્રિકા વહેતી કરી હતી જેમાં લેઉવા પટેલ અને કડવા પટેલ વચ્ચે મતભેદ ઉત્તપન થાય તેવા લખાણો લખેલા છે.
લેઉવા પટેલ સમાજની પત્રિકા ફરતી થતાં ભાજપ શહેર પ્રમુખ સહિતના આગેવાનો પોલીસ કમિશનર પાસે દોડી ગયા હતા અને આ મુદ્દે રજૂઆત થતા તાલુકા પોલીસે મવડી ગામ પાસે આવેલ ગાયત્રી પાર્કમાં રહેતા કારખાનેદાર મહેષભાઈ રવજીભાઈ પીપરિયા ઉ.વ.45ની ફરિયાદ પરથી રાજકોટના કેતનભાઈ તાળા, પ્રકાશભાઈ વેજપરા, વિપુલભાઈ તારપરા અને દિપ ભંડેરી સહિતના સામે આઈપીસીની કલમ 153એ, 188, 114, લોકપ્રતિનિધિ અધિનિયમની કલમ 125 અને 127 એ હેઠળ ગુનો નોંધી ચારેય શખ્સોને ક્રાઈમ બ્રાંચે મોડી રાત્રે જ ઉપાડી લીધા હતા.
લેઉવા પટેલ સમાજની પત્રિકા વહેતી કરનાર ચારેય યુવાનોને પોલીસે ઉપાડી લેતા મોડીરાત્રે ક્રાઈમ બ્રાંચે કોંગ્રેસના હોદેદારો અને લેઉવા પટેલ સમાજના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. બીજીબાજુ પત્રિકા તૈયાર કરનાર કોણ છે તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
કોંગ્રેસ અને ખોડલધામને બદનામ કરવાનો પ્રયાસ: પરેશ ધાનાણી
રાજકોટમાં લોકસભાની ચુંટણી સમયે જ લેઉવા પટેલ સમાજને ઉશ્કેરતી પત્રીકા વાયરલ કરવામાં પોલીસે કોંગ્રેસના ચાર કાર્યકરોની અટકાયત કરતા કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ રાતોરાત પોલીસે કરેલી કાર્યવાહી અંગે સવાલો ઉઠાવી જણાવ્યું હતું કે રાજકોટ ભાજપના નારાજ નેતાઓ દ્વારા પોતાનું મિશન પાર પાડવામાં માટે ખોડલધામ અને કોંગ્રેસને બદનામ કરવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો છે. તંદુરસ્ત ચુંટણીમાં અવરોધ પેદા કરવા પોલીસ તંત્રનો દુરઉપયોગ થઇ રહ્યો છે. મુળ ભાજપના ભડકેલા પેઇજ પ્રમુખો પાસે નામ-ઠામ વગરની પત્રીકાઓ વહેંચાવી અને ખોડલધામ યુવા સમિતિના કાર્યકરોને ફસાવવાનું ષડયંત્ર પણ કરી રહ્યું છે?