કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય કરશનભાઈ ઓડેદરાનું અવસાન
મોડી રાત્રે નીંદરમાં જ હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડયો
પોરબંદર જિલ્લાના કુતિયાણા રાણાવાવ પંથકમાં ત્રણ ટર્મથી ભાજપના ધારાસભ્ય રહી ચુકેલા કરશનભાઈ દુલાભાઈ ઓડેદરાને મોડીરાત્રે નિંદરમાં આવેલ હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડ્યો હતો. મેર સમાજનાં આગેવાનથી શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. આજે સવારે 11 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં પરિવારજનો અને સ્વજનો મોટી સંખ્યામાં જોડાયા હતાં.
પોરબંદરના રાણાવાવ ખાતે રહેતા પૂર્વ ધારાસભ્ય કરશનભાઈ દુલાભાઈ ઓડેદરા (ઉ.66)ને મોડીરાત્રે નિંદરમાં જ આ હૃદયરોગનો હુમલો આવી જતાં તેમનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું. 1998થી 2012 સુધી ત્રણ ટર્મમમાં તેઓ કુતિયાણા અને રાણાવાવના ધારાસભ્ય તરીકે ચુંટાયા હતાં. ભાજપના પાયાના કાર્યકર કરશનભાઈના અવસાનથી પરિવારજનો અને ભાજપમાં ઘેરો શોક ફેલાઈ ગયો છે.
પૂર્વ ધારાસભ્ય કરશનભાઈ ઓડેદરાની સવારે 11 વાગ્યે રાણાવાવ ખાતે આવેલ નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં ભાજપના આગેવાનો, પરિવારજનો અને સ્વજનો તેમજ મેર સમાજનાં આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતાં. કરશનભાઈ ઓડેદરાના અવસાનથી આજે પોરબંદર ખાતે લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયા અને વિધાનસભાના ઉમેદવાર અર્જુન મોંઢવાડીયાનો રોડ શો રદ કરવામાં આવ્યો છે.