‘મરાઠી માનુષ’ ભૂલાયા: એનસીપી પછી શિવસેનાને કેબિનેટમાં ઠેંગો
એકનાથ શિંદેના સાત સાંસદમાંથી કોઇને કેબિનેટ મંત્રીપદ નહીં મળતા મહારાષ્ટ્રનાં રાજકારણમાં નવા-જુનીના એંધાણ
નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. તેમની સાથે 72 મંત્રીઓએ પણ શપથ લીધા છે. પરંતુ પહેલેથી જ એનડીએની ઘણી પાર્ટીઓ નારાજ હોવાનું કહેવાય છે. એનસીપીની સાથે શિવસેનાએ (એકનાથ શિંદે જૂથ) પણ પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. શિવસેનાનું સ્પષ્ટ કહેવું છે કે તેના સાત સાંસદો જીત્યા છે તેમ છતાં તેમને એક પણ કેબિનેટ મંત્રાલય મળ્યું નથી.
પાર્ટીના ચીફ વ્હીપ શ્રીરંગ બારણેનું સ્પષ્ટ કહેવું છે કે ચિરાગ પાસવાન, જેડીએસ અને માંઝીને કેબિનેટ મંત્રાલય આપવામાં આવ્યા છે, પરંતુ સાત સાંસદ આપનાર શિવસેનાને એક પણ આપવામાં આવ્યું નથી. સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના પ્રધાનનું પદ આપવાનો શું અર્થ છે? એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે જ્યારે ચૂંટણીમાં શિવસેનાનો સ્ટ્રાઇક રેટ ઉત્તમ રહ્યો છે ત્યારે એ અર્થમાં મંત્રાલય પણ આપવું જોઈએ.
બારણેએ શિવસેનાની સાથે એનસીપી વિશે પણ નિવેદન આપ્યું હતું. તેમનું માનવું હતું કે પરિવારની વિરુદ્ધ જઈને મહાગઠબંધનમાં સામેલ થયેલા અજિત પવારને પણ મંત્રાલય આપવું જોઈતું હતું.હાલ તો પહાડની જેમ પીએમ મોદી માટે અનેક પડકારો છે. એક તરફ તેમને પોતાનો 100 દિવસનો રોડમેપ સાકાર કરવાનો છે. તો બીજી તરફ તેમને ઘણા ગઠબંધન સહયોગીઓની ઈચ્છા પણ પૂરી કરવી પડશે. દરેકને કેવી રીતે સંતુષ્ટ રાખવા, યોગ્ય જગ્યા આપવી, તે ચર્ચાનો વિષય છે. આ વખતે પીએમ મોદીએ પોતાના મંત્રીમંડળમાં જાતિગત સમીકરણનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે. મહારાષ્ટ્ર રાજયમાં આ વર્ષના અંત પહેલા વિધાનસભાની ચુંટણીઓ યોજાનારી છે. હાલમાં મહા વિકાસ અઘાડી પ્રદર્શન સુધી છે અને હવે એનસીપી (અજીત પવાર) અને શિવસેના (એકનાથ સિંદે) જુથ ભાજપથી નારાજ થતા હવે નવાજુની સર્જાવાના એંધાણ છે.
એનડીએના 40 ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં હોવાના દાવાથી ખળભળાટ
કોંગ્રેસના ધારાસભ્ય અને મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વિજય વાડેટ્ટીવારે સોમવારે દાવો કર્યો હતો કે સત્તારૂૂઢ મહાયુતિના ઓછામાં ઓછા 40 ધારાસભ્યો એક મહિનામાં મહા વિકાસ અઘાડીમાં જોડાઈ શકે છે. વિજય વાડેટ્ટીવારે કહ્યું હતું કે, મહાયુતિના ઘટક દળ શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો આગામી એક મહિનામાં ઘર વાપસી માટે કોંગ્રેસ અને એનસીપી (એસપી) સંપર્કમાં છે.વાડેટ્ટીવારે કહ્યું, અમને વિશ્વાસ છે કે મહા વિકાસ અઘાડી - કોંગ્રેસ, શરદ પવારની એનસીપી અને ઉદ્ધવ ઠાસરેની આગેવાની હેઠળની શિવસેનાનું ગઠબંધન - મહારાષ્ટ્રમાં ફરી સત્તામાં આવશે. રાજ્યમાં 288 સભ્યોની વિધાનસભા છે. લોકસભાની ચૂંટણીનો ટ્રેન્ડ દર્શાવે છે કે એમવીએમ 150 રાજ્ય વિધાનસભા સેગમેન્ટમાં આગળ હતું જ્યારે મહાયુતિએ તેમાંથી 130માં લીડ મેળવી હતી. વિજય વાડેટ્ટીવારે કહ્યું કે શિવસેના અને એનસીપીના અન્ય દળના 40 ધારાસભ્યોને અહેસાસ થયો કે એમવીએમ સત્તામાં આવી રહ્યું છે. તે જ કારણ છે કે તેઓ તેમના પક્ષના નેતાઓને ઘરવાપસી માટે કહી રહ્યા છે. શરદ પવારની આગેવાની હેઠળના એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંતે પણ આ વાતની પુષ્ટિ કરી કે અન્ય સમૂહના કેટલાક ધારાસભ્યોએ પણ આ બાબતે સંકેતો આપેલા છે.