ભાવનગરમાં બે કારમાં આવેલા પાંચ શખ્સોએ રિક્ષાચાલકને છરી-પાઇપ માર્યો
ભાવનગરના તળાજા રોડ વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલકે દોઢ માસ પહેલા પોલીસમાં કરેલી અરજીની દાઝ રાખી બે અલગ અલગ કારમાં આવેલા પાંચ ઈસમોએ લોખંડનો પાઇપ અને છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં રીક્ષા ચાલકને છોડાવવા માટે આવેલા તેના માતાને પણ શખ્સે છરી વડે ઇજા પહોંચાડી હતી.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના તળાજા રોડ, કાચના મંદિર સામે આવેલ રાધેશ્યામ પાર્કમાં રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા રાજનભાઈ દિલીપભાઈ પરમારે દોઢમાસ અગાઉ ટોપથ્રી સર્કલ પાસે આવેલ ભક્તિનગરમાં રહેતા કૃણાલસિંહ જાડેજા અને અજાણ્યા ઇસમો વિરુદ્ધ ભરતનગર પોલીસ મથકમાં અરજી કરી હતી.
પોલીસમાં અરજી કર્યાની દાઝ રાખી ગઈકાલે રાજનભાઈ પરમાર તેમની રીક્ષા લઈને ભાડું કરવા માટે ઘરેથી નીકળ્યા ત્યારે શેરીના નાકા પાસે સફેદ કલરની કાર નં.જી.જે.02-ઇ.જી.-8842 જીજે02માં કૃણાલસિંહ જાડેજા ઉર્ફે ભોલુ અને બે અજાણ્યા ઈસમો આવ્યા હતા અને તે અમારા વિરુદ્ધ કેમ પોલીસમાં ખોટી અરજી કરી છે તેમ કહી ગાળો આપી લોખંડના પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો. દરમિયાન બીજી એક કાળા કલરની કાર નં.જી.જે.04-ઇ.એ.-9897 માં વધુ બે શખ્સ આવ્યા હતા અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. દરમિયાન રાજેશભાઈના માતા વિમળાબેન દિલીપભાઈ પરમાર દોડી આવ્યા હતા અને રાજેશભાઈને છોડાવવા જતા કૃણાલસિંહ જાડેજાએ તેમને આંખના ભાગે છરી વડે ઇજા પહોંચાડી પહવે પોલીસમાં અરજી કે ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખશુંથ તેવી ધમકી આપી કારમાં ફરાર થઈ ગયા હતા. મારામારીની આ ઘટનામાં ઇજાગ્રત રાજેશભાઈ અને તેમની માતા વિમળાબેનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે રાજનભાઈ દિલીપભાઈ પરમારે કૃણાલસિંહ જાડેજા એ ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.