નવી સરકારનુંં 18મીથી પ્રથમ સત્ર, 20મીએ સ્પીકરની ચૂંટણી
પ્રથમ બે દિવસ ચૂંટાયેલા સાંસદોની શપથવિધિ, મોદીકાળમાં પ્રથમ વખત વિપક્ષ નેતા પદ મળશે: સ્પીકરની પસંદગી અંગે સસ્પેન્સ
મોદી સરકારના નવા પ્રધાનોને ખાતા ફાળવણી પૂર્ણ થઈ જતાં હવે આગામી તા. 18 જૂનથી નવી સરકારનું પ્રથમ સત્ર શરૂ થનાર ચે. સત્ર દરમિયાન તા. 20 જૂને લોકસભાના સ્પીકરની ચૂંટણી યોજાનાર છે તે પૂર્વે એનડીએ અને ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ સતર્ક બન્યા છે. સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર પદ ભાજપ પોતાની પાસે રાખશે કે, સાથી પક્ષોને આપસે તે અંગે સસ્પેન્સ જોવા મળી રહ્યો છે.
આ શત્રની શરૂૂઆત નવા ચૂંટાયેલા સાંસદોના શપથ સાથે થશે. પ્રથમ બે દિવસે પ્રોટેમ સ્પીકર 543 ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવશે. જ્યારે લોકસભા અધ્યક્ષની ચૂંટણી 20 જૂને યોજાશે. બીજા દિવસે 21 જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના બંને ગૃહોને સંયુક્ત રીતે સંબોધિત કરશે. જો કે હજુ સુધી આ સમગ્ર કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
લગભગ 10 વર્ષની રાહ જોયા બાદ આ વખતે સંસદમાં વિપક્ષનું પ્રતિનિધિત્વ વધતું જોવા મળશે. મોદીના ત્રીજા કાર્યકાળમાં પ્રથમ વખત વિપક્ષને વિપક્ષના નેતાનું પદ મળશે. ભાજપ આ વખતે પણ સ્પીકર પદ જાળવી રાખશે. જો કે, ભાજપ ભૂતપૂર્વ સ્પીકર ઓમ બિરલા પર વિશ્વાસ જમાવશે કે નવો ચહેરો રજૂ કરશે તે જાણવામાં રસ છે. ઉલ્લેખનીય છે કે મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં સુમિત્રા મહાજનને તક મળી હતી અને બીજી ટર્મમાં ઓમ બિરલાને તક મળી હતી. મહાજને 2019ની ચૂંટણી લડી ન હતી, જ્યારે બિરલા રાજસ્થાનની કોટા બેઠક પરથી ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા.
ડેપ્યુટી સ્પીકરનું પદ પુન:સ્થાપિત થશે કે કેમ તે અંગે સસ્પેન્સ છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આ વખતે ભાજપ આ પદ તેના કોઈ સહયોગી પક્ષને આપી શકે છે. પહેલા કાર્યકાળમાં પાર્ટીએ આ પદ તેના સહયોગી AIADMKને આપ્યું હતું.
સ્પીકરપદ અને વિપક્ષી નેતા માટે ઈન્ડિયા ગઠબંધન તરફ નજર
નવી ચૂંટાયેલી સરકારના પ્રથમ સત્રનો આગામી તા. 18 જૂનથી પ્રારંભ થનાર ચે અને તા. 20મીએ સ્પીકરની ચૂંટણી યોજાનાર ચે ત્યારે ઈન્ડિયા ગઠબંધન એનડીએના અસંતોષનો લાભ લેવા સ્પીકરપદ માટે ઉમેદવાર ઉભા રાખશે કે કેમ તે અંગે હજુ સસ્પેન્સ છે જ્યારે મોદી સરકારમાં પ્રથમ વખત વિપક્ષી ગઠબંધનને વિપક્ષી નેતાપદ મેળવનાર છે ત્યારે વિરોધપક્ષના નેતા કોણ બનશે? તે અંગે ઈન્ડિયા ગઠબંધને હજુ સુધી કોઈ પત્તા ખોલ્યા નથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી વિપક્ષી નેતા બને છે કે પછી સોનિયાગાંધી ઉપર પસંદગી ઉતરાય છે કે પછી અન્ય કોઈ નેતા ઉપર કળશ ઢોળાશે તે અંગે હજુ સસ્પેન્સ છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે કોંગ્રેસ સંસદિય દળના અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધીની પસંદગી કરાઈ હતી.