ગેમ ઝોન અગ્નિકાંડની કાલે પ્રથમ માસિક વરસી, રાજકોટ બંધનું એલાન
મોટાભાગના વેપારી સંગઠનો બંધમાં જોડાવા સ્વૈચ્છિક રીતે તૈયાર
કોંગે્રસ દ્વારા બંધને સફળ બનાવવા જબરી મહેનત, પ્રદેશ નેતાઓના ધામા
રાજકોટમાં ગત તા.25 મેના રોજ નાનામવા વિસ્તારમાં ગેરકાયદેસર રીત બનાવાયેલ ટીઆરપી ગેમઝોનમાં ભભુકેલી આગમાં 27 લોકો જીવતા ભુંજાઇ ગયા હતા. આ અતિ કરૂણ ઘટનાની પ્રથમ માસીક વર્ષીએ આવતીકાલ તા.25 જુનને મંગળવારના રોજ કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું હોય, રાજકોટવાસીઓ આવતીકાલે મંગળવારે સ્વયંભુ બંધ પાળી મૃતકોને શ્રધ્ધાંજલી અર્પશે અને પીડીત પરિવારોને ઝડપથી ન્યાય મળે તે માટે સરકાર સમક્ષ માંગણી કરનાર છે.
રાજકોટમાં 27 લોકોના ભોગ લેનારી આ ગંભીર ઘટનાથી લોકોમાં ભારે આક્રોશની લાગણી પ્રવર્તે છે અને આ ગેરકાયદે ગેમઝોન સામે આંખ મિચામણા કરનાર મ્યુનિ. કમિશનર, પોલીસ કમિશનર સહીત ચાર ટોચના અધિકારીઓની બદલી કરી નાખવામાં આવી છે. જયારે મહાનગરપાલિકાના ટીપીઓ ચીફ ફાયર ઓફીસર સહીત અનેક અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે અને હજુ ઘણા અધિકારીઓ ઉપર ધરપકડની તલવાર લટકી રહી છે.
રાજય સરકારે લોકોનો આક્રોશ ખાળવા આ ઘટનાની તપાસ માટે આઇપીએસ અધિકારી સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ સ્પેશીયલ ઇન્વેસ્ટીગેેશન ટીમ (સીટ)ની રચના કરી છે. જયારે હાઇકોર્ટની સલાહ બાદ ત્રણ સિનિયર આઇએએસ અધિકારીઓની સત્યશોધક સમિતિ પણ બનાવી છે. આમ છતાં લોકોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો હોય આવતીકાલ તા.25 જુને આ ગોઝારી ઘટનાને એક માસ પુર્ણ થતો હોવાથી પીડીતોને ન્યાય આપવાની માંગણી સાથે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે.
આ બંધના એલાનને મોટાભાગના વેપારી સંગઠનોએ ટેકો જાહેર કર્યો હોવાથી આવતીકાલે રાજકોટ જડબેસલાક બંધ રહે તેવી શકયતા છે. વેપારીઓ બંધમાં સ્વયંભૂ જોડાઇ રહ્યા છે. બીજી તરફ કોંગે્રસના ટોચના નેતાઓએ બંધને સફળ બનાવવા રાજકોટમાં ધામા નાખયા છે. કોંગે્રસના સ્થાનિક નેતાઓ અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી લગભગ 15 દિવસથી બંધને સફળ બનાવવા શહેરમાં ફરી રહ્યા છે અને પત્રિકા વિતરણ કરી રહ્યા છે. સ્વજનો ગુમાવનાર પીડિત પરિવારો પણ બંધમાં જોડાવા લોકોને અપીલ કરી રહ્યા છે. કોંગે્રસના પ્રદેશ પ્રમુખ શકતીસિંહ ગોહિલ, સેવાદળના પ્રદેશ અધ્યક્ષ લાલજી દેસાઇ સહિતના નેતાઓએ રાજકોટમાં પડાવ નાખ્યો છે.