આખરે મેઘરાજાએ હેત વરસાવ્યું: અડધાથી સાડા 3 ઇંચ વરસાદ
જામનગર શહેરમાં રવિવારે સાંજે અને ગઇકાલે સવારે 28મી.મી. વરસાદ: લાલપુરમાં સવા ત્રણ ઇંચ વરસાદ: કાલાવડમાં સવા બે ઇંચ: જ્યારે જામજોધપુરમાં એક ઇંચ અને જોડિયામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો
જામનગર શહેર અને જિલ્લામાં આખરે ગઈકાલે રવિવારે સાંજે મેઘરાજાની પધરામણી થઈ છે, અને અડધાથી સવા ત્રણ ઇંચ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
જામનગર શહેરમાં ગઈકાલે સાંજે કડાકા ભડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી, અને અડધો ઇંચ પાણી પડ્યું હતું. ત્યારબાદ આજે વહેલી સવારે ફરીથી મેઘરાજાની પધરામણી થઈ હતી, અને વધુ 14 મી.મી. વરસાદ પડી ગયો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં કુલ 28 મી.મી. વરસાદ નોંધાયો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, અને હજુ પણ વરસાદી માહોલ બંધાયેલો છે.
જામનગર ઉપરાંત લાલપુર પંથકમાં મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. ગઈકાલે લાલપુરમાં 22 મી.મી. વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ આજે વધુ ધોધમાર 65 મી.મી. વરસાદ પડી ગયો હતો, અને છેલ્લા 24 કલાક દરમિયાન સાડાત્રણ ઇંચ પાણી પડી ગયું છે. જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂૂમના જણાવ્યા અનુસાર લાલમાં 87 મી.મી. વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત કાલાવડમાં ગઈકાલે સાંજે ધીંગી મેઘ સવારી જોવા મળી હતી, અને નદીનાળામાં પાણી આવ્યા હતા. ગઈકાલે માત્ર બે કલાકના સમયગાળામાં જ કાલાવડમાં 54 મી.મી. વરસાદ નોંધાયો હતો. તે જ રીતે જામજોધપુરમાં ગઈકાલે 20 મીમી. વરસાદ નોંધાયો હતો. જ્યારે આજે સવારે ફરીથી 9 મી.મી. વરસાદ પડી જતાં કુલ 29 મી.મી. વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત જોડીયામાં ગઈકાલે સાંજે 6 મી.મી. અને આજે ત્રણ મી.મી. સહિત અડધો ઇંચ વરસાદ પડ્યો હોવાના એવાલો પ્રાપ્ત થયા છે.જિલ્લામાં એકમાત્ર ધ્રોલ તાલુકો ખાલી રહ્યો છે.
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરફથી મળેલા આંકડા પર જોવામાં આવે તો સૌથી વધુ કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં 75 મી.મી. વરસાદ નોંધાયો હતો, જ્યારે ખરેડીમાં 65 મી.મી. નિકાવા માં 42 મી.મી., નવાગામમાં 45 મી.મી., મોટા પાંચદેવડામાં 55 મી.મી. વરસાદ નોંધાયો હતો.
વરસાદની સાથે જ વીજતંત્રની કવાયત: અનેક ફીડરો ટ્રીપ થયા
જામનગર શહેરમાં પ્રથમ વરસાદની સાથે જ વિજતંત્રની પ્રિમોનશુન કામગીરીની પોલ ખુલી ગઈ હતી, અને અનેક વિસ્તારોમાં ફીડર ટ્રીપ થવાના કારણે વીજ પુરવઠો ખોરવાયો હોવાના અહેવાલો મળ્યા હતા, અને વિજ તંત્ર ની ટુકડીના ટેલીફોન રણકતા થયા હતા, જામનગર શહેરના અંદાજે 15 જેટલા ફીડરોમાં પ્રથમ વરસાદની અસર જોવા મળી હતી. અને કેટલાક વિસ્તારોમાં થોડો સમય માટે વીજ પુરવઠો ખોલવામાં આવ્યો હતો. જોકે મોટાભાગે રાત્રિ દરમિયાન તમામ વિજ ફીડર કાર્યરત થયા હતા. જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં ડેન્ટલ હોસ્પિટલ ની પાસે આવેલું એક વીજ ટ્રાન્સફોર્મર કે જેમાં ગઈ રાત્રે સૌપ્રથમ આગ લાગી હતી, અને ત્યારબાદ બ્લાસ્ટ થયા પછી સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો. જેથી વિજ તંત્ર ની ટુકડી મોડી રાત્રે દોડતી થઈ હતી, અને સળગી ગયેલું એક ટ્રાન્સફોર્મર જુદું પાડીને આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો મોડી રાત્રે શરૂૂ કરી દેવામાં આવ્યો હતો. બાકી ની કામગીરી આજે સવારથી ચાલુ રખાઇ છે.