હળવદ પંથકમાં વીજપોલની કામગીરી સામે ખેડૂતોની આત્મવિલોપનની ચીમકી
હળવદના 10 ગામના ખેડુતોએ મંગળપુરમાં વિજપોલના વળતર બાબતે હલ્લાબોલ કર્યો હતો અને યોગ્ય વળતર મળે તો જ કામગીરી કરવા દેવાની રજૂઆત કરી હતી તો સાથે બળજબરીથી કામગીરી કરશે તો આત્મવિલોપન કરવાની ચિમકી આપી હતી.
હળવદ તાલુકામાથી 765 કેવી ડીસી લાકડીયા અમદાવાદ ટ્રાન્સમિશન લાઈનની કામગીરી થઈ રહી છે જેમાં ઠેરઠેર વળતર બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે મંગળપુરમા 10થી વધુ ગામનાં ખેડુતોએ વિરોધ પ્રદર્શન કરી યોગ્ય વળતર ચુકવવાની માંગણી સાથે હલ્લાબોલ કર્યો હતો. હળવદના મંગળપુરમાં આજે મંગળપુર, વેગડવાવ, માલણીયાદ, ઈશનપુર, અમરાપર, ધનશ્યામગઢ, રાયસંગપુર, ધનાળા, મયુરનગર, ચાડધ્રા, ધુળકોટ સહિતના ગામોનાં ખેડૂતોએ વળતર બાબતે હલ્લાબોલ કર્યો હતો.ખેડુતોએ જણાવ્યું હતું કે 765 કેવી વિજપોલના 1 લાખ અને વીજતારના 51 હજાર આપવામાં આવે છે જ્યારે અન્ય ગામોમાં 70 લાખથી વધુ રકમ ચુકવેયાલા છે તો અમારી સાથે ભેદભાવ કેમ અને જો અમને યોગ્ય વળતર નહીં મળે તો અમે આત્મવિલોપન કરશું તેવી ખેડુતોએ ચિમકી ઉચ્ચારી હતી. આમતો હળવદ તાલુકાના ખેડુતોએ ઘણી બધી ઉચ્ચકક્ષાએ યોગ્ય વળતરની રજૂઆત કરી છે પરંતુ વીજપોલની કંપનીએ અવારનવાર પોલીસ કે એસઆરપી જવાનો ખેડૂતો સામે રાખીને આંખો કાઢીને કામગીરી કરી છે પરંતુ મંગળપુરમા 10થી વધુ ગામોના ખેડૂતો એકઠાં થતાં જવાબદાર તંત્ર સહિત પોલીસ રવાના થઈ ગયા હતા તો સાથે ખેડુતોએ નવી રણનીતિ ઘડવા માટે બેઠક કરી હતી.
(તસ્વીર: યોગેશ પટેલ)