રાજકોટ અને ગોંડલ યાર્ડના સુકાનીઓની મુદત પૂરી
આચારસંહિતાના કારણે ચૂંટણી અટકી, લોકસભાના પરિણામો બાદ જાહેર થશે કાર્યક્રમ
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ચેરમેન સહીતની આખી બોડીની ટર્મ આજે પુરી થઇ ગઇ છે. નવી બોડી માટે ખેતી નિયામકને દરખાસ્ત મોકલી દેવામાં આવી છે પરંતુ આચાર સંહિતાના હિસાબે હાલ યાર્ડની ચૂંટણીની તમામ પ્રક્રિયા અટકી પડી છે. ચૂંટણીના પરિણામ બાદ તમામ પ્રક્રિયા હાથ ધરાય તેવું જાણવા મળી રહ્યું છે.
રાજકોટ યાર્ડમાં ચેરમેન જયેશ બોઘરાની બોડીની ટર્મ આજે પુરી થઇ છે અને નવી બોડી માટે ડેપ્યુટી રજીસ્ટ્રાર દ્વારા ખેતી નિયામકને નવી બોડી માટે દરખાસ્ત કરી દેવામાં આવી છે પરંતુ હાલ લોકસભા ચૂંટણીની આચાર સંહિતા લાગુ હોવાથી કોઇ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ આવતીકાલે ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ સમગ્ર કાર્યક્રમની ખેતી નિયામક દ્વારા જાહેરાત થશે.
ખેતી નીયામક દ્વારા સમગ્ર કાર્યક્રમની જાહેરાત બાદ પક્ષ દ્વારા નવા ચેરમેન નામનો ભાજપ દ્વારા મેન્ડેટ અથવા સુચના આપવામાં આવશે અને ત્યારબાદ ફોર્મ ભરવાની તમામ પ્રક્રીયા શરૂ કરવામાં આવશે. રાજકોટ યાર્ડમાં ચેરમેન સહીત 16 સભ્યોની બોડી છે હાલ ભાજપ દ્વારા યાર્ડમાં શાસન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં પણ ભાજપ જ યાર્ડની ધુરા સંભાળશે તેવું ચિત્ર અત્યારથી જ દેખાઇ રહ્યું છે. રાજકોટ યાર્ડની સાથે ગોંડલ યાર્ડની ચુંટણી પણ યોજાશે. તેમ ટર્મ પણ તા.29 મેેએ પૂર્ણ થઇ ગઇ છે. તેના ચેરમેન તરીકે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરીયા દ્વારા સંચાલન કરવામાં આવતું હતું.
રાજકોટ માર્કેટીંગ યાર્ડની ચુંટણીને રસપ્રદ રીતે જોવામાં આવી રહી છે. જેમાં અગાઉ ઇફકો અને નાફેડવાળી થશે કે કેમ તેની ચર્ચા પણ સહકારી ક્ષેત્રમાં થઇ રહી હોવાનું સુત્રોમાં ચર્ચાઇ રહ્યું છે.