ટ્રેન આવી છતાં માલવિયા ફાટક ખુલ્લું રહી ગયું
રાજકોટમાં મોટી દુર્ઘટના સહેજમાં અટકી, બેદરકારી બદલ ગેટમેન સસ્પેન્ડ: તપાસનો આદેશ
રાજકોટના ગોંડલ રોડ પર આવેલ માલવીયા ફાટક પર ટ્રેન આવી છતા પણ ફાટક ખુલ્લુ રહી ગયુ હતું. ફાટક ખુલ્લુ રહેવા છતા પણ મોટી દુર્ઘટના સહેજમાં અટકી ગઇ હતી.
ફાટક ખુલ્લુ રહેવાની બેદરકારી બદલ ડ્યુટી પરના ગેટમેઇનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સમગ્ર બનાવની તપાસ માટે આદેશ આપી ઝડપથી રીપોર્ટ કરવા સૂચના આપવામાં આવી છે.
ગોંડલ રોડ પર આવેલ માલવીયા ફાટક પર માલગાડી રાતના 12 વાગે પસાર થવાની હતી. માલગાડી પસાર થતી હોય ફાટક બંધ કરવાનું ગેટમેન ભુલી જતા ફાટક ખુલ્લુ જ રહી ગયુ હતું. ફાટક ખુલ્લુ રહી જતા ટ્રેન ત્યાં પહોંચી ગઇ હતી. ધશમશતી આવતી ટ્રેનને જોઇને વાહન ચાલકોમાં અફરા તફરી મચી ગઇ હતી.
ગેટમેનની બેદરકારીના કારણે લોકોના જીવ જોખમમાં મોકાઇ ગયા હતા. આ સમગ્ર બનાવ બાબતે રેલવે દ્વારા ફરજ પરના ગેટમેનને તાત્કાલીક સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને ફાટક ખુલ્લુ રહેવા અંગેની તપાસ કરવા આદેશ આપવામાં આવ્યો છે.
રેલવેના સુત્રોના જણાવ્યા મુજબ, રાજકોટ રેલવે ડિવિઝનમાં ઇન્ટર લોકીંગ સિસ્ટમ હોવાના કારણે મોટી દુર્ઘટના અટકાવી શક્યા છે. ઇન્ટર લોકીંગ સીસ્ટમના કારણે જ માલવીયાનું ફાટક ખુલ્લુ રહેવા છતા મોટી દુર્ઘટનાને ટાળી શક્યા છે. કારણ કે, ઇન્ટર લોકીંગના કારણે ટ્રેન ફાટક ખુલ્લુ હોવા છતા ઓટોમેટીક સ્ટોપ થઇ જતી હોય છે. આ બનાવથી લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં છાશવારે ટ્રેનોના અકસ્માત સર્જાઇ રહ્યા છે અને હજારો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.